અમદાવાદઃ અમદાવાદના અસારવા વિસ્તારમાં 27 વર્ષના પુત્રના 50 વર્ષની મહિલા સાથેના શારીરિક સંબંધનો વિરોધ કરનારી માતાને પુત્રે બરહેમીથી માર મારતાં માતાનું મોત થયું હોવાની ફરિયાદ યુવકની બહેને જ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે. પુત્રે માતા બાઈક પરથી નીચે પડી ગઈ હોવાનો ખોટો દાવો કર્યો હતો પણ પુત્રને 50 વર્ષની મહિલા સાથે સંબંધો હોવાનો માતાએ વિરોધ કર્યો હોવાથી માર માર્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે.


આ ઘટનાની વિગત એવી છે કે, રવિવારે રાત્રે આશીષ રાણા નામનો યુવક તેની પાયલબેન ભીલના ઘરે માતા 65 વર્ષીય જમનાબેન રાણાને ઈજાગ્રસ્ત હાલતમાં લઈને પહોંચ્યો હતો. આશીષ રાણાએ  માતા બાઈક પરથી નીચે પટકાયા હોવાનુ કહ્યુ હતુ. પાયલ માતા પાસે પહોચી ત્યારે જમનાબેનના કાન અને મોઢામાંથી લોહી વહી રહ્યુ હતુ. બહેને માતાને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી ને ભાઈ પર શંકા જતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સારવાર દરમ્યાન માતા જમનાબેનનુ મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આશિષની ધરપકડ કરી છે.

આ કેસમાં યુવકને 50 વર્ષની મહિલા સુનિતા સાથે સંબંધો હોવાનું બહાર આવ્યું છે. આશિષની માતા જમનાબેન આ સંબંધથી દુ:ખી હતી. તે આશિષને સંબંધ ખત્મ કરવા કહેતા હતાં તેથી આશિષે અગાઉ પણ તેની માતાને માર માર્યો હોવાના આક્ષેપો બહેને કર્યા છે. આશિષે માતા બાઈક પરથી નીચે પટકાઈ હોવાનુ રટણ ચાલુ જ રાખ્યુ છે. આશિષ રાત્રે 3 વાગે તેની માતાને બાઈક પર લઈને કયાં જઈ રહ્યો હતો એ સવાલનો જવાબ તેની પાસે નથી. જે મહિલા સાથે તેના સંબંધ હતા તે પણ ઘર છોડીને ફરાર થઈ ગઈ છે.

હજુ સુધી હત્યાને લઈને સ્પષ્ટ પુરાવા હાથે લાગ્યા નથી. મહિલાના પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ હત્યા કે અકસ્માત મોતની સ્પષ્ટતા થઈ શકશે. હાલમા પોલીસે આક્ષેપોને લઈને હત્યાનો ગુનો નોંધી આશિષની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.