અમદાવાદઃ છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પાર્ટી પ્લોટમાં થતાં ગરબા ધોવાઈ ગયા છે અને રાજપથ-કર્ણવતી સહિત અનેક ઓર્ગેનાઇઝરો દ્વારા બે દિવસ માટે ગરબા રદ કરી દીધા હતા, ત્યારે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગઈ કાલે મોડી રાતથી અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે. તેમજ શહેરમાંથી વાદળછાયું વાતાવરણ પણ હટ્યું છે.


હવામાન વિભાગે આગાહી કરી છે. કે, આજથી ડિપ્રેશન નબળું પડશે અને આવતીકાલથી વરસાદ બંધ થશે. જેને કારણે બાકીના 7 દિવસ ખેલૈયાઓ મન ભરીને ગરબા રમી શકશે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નહીવત છે. આજે તડકો પણ નીકળ્યો હોવાથી જમીન પણ ઝડપથી સુકાઇ જશે અને ગરબા રમવા માટે થનગની રહેલા યુવાઓ ઝડપથી ગરબા રમી શકશે.