અમદાવાદઃ ધંધુકામાં કિશન બોળિયા નામના માલધારી યુવકની હત્યા કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ગુજરાત એટીએસએ દિલ્હીના મૌલવી કમર ગની ઉસ્માનીની ધરપકડ કરી છે.  કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરાઇ હતી.કમર ગની ઉસ્માની એક વર્ષથી ષડયંત્ર કરી રહ્યો હતો.


આ મામલે કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ગુનેગારને કડક સજાની માગ કરી હતી. સાથે રાજ્ય સરકાર પર કૉંગ્રેસ પ્રમુખે સવાલો ઉઠાવ્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું કે 26 જાન્યુઆરીના રેડ એલર્ટ હોવા છતા હથિયારો કેવી રીતે આવ્યા? સરકાર જે પાકિસ્તાન કનેકશનની વાત કરે છે તો 26મી જાન્યુઆરીના રેડ એલર્ટ ક્યાં ગયું. ઘટનાને રાજ્ય સરકાર કોમી એંગલ આપી રહ્યાનો પણ આરોપ લગાવ્યો હતો. બનાવ બાદ વીડિયો બનાવ્યા અને ભાજપ સાથે જોડાયેલા સંગઠનો લોકોને ઉશ્કેરતા હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.


આ હત્યાકેસમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોની સંડોવણીની આશંકા સેવાઈ રહી છે. જેના કારણે સમગ્ર તપાસ ATSને સોંપી દેવામાં આવી છે. મુંબઈનો મૌલાના કમર પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ હોવાનો ઘટસ્ફોટ થયો છે.  સમગ્ર પ્રકરણમાં આરોપીઓને અન્ય ધર્મ વિરૂદ્ધ ભડકાવવા સુધીની વિગતો પોલીસ સામે આવી છે. આરોપીઓએ પાકિસ્તાન સ્થિત સંગઠનના ભડકાઉ ભાષણો સાંભળ્યા બાદ અમદાવાદ અને મુંબઈના મૌલાનાઓની થયેલી મિટીંગના સંદર્ભમાં હત્યા કરવાનું નક્કી કર્યું હતું. હવે આ જેહાદી ષડયંત્રની સમગ્ર તપાસ ATS કરી રહી છે. આરોપીઓ સાથે જોડાયેલી કડીઓ તેમજ પાકિસ્તાન કનેકશન શોધવા સાત ટીમ ગુજરાત સરકાર તરફથી રચના કરવામાં આવી.


પાકિસ્તાની કટ્ટરપંથી મૌલાના ખાલિદ હુસૈન રિઝવીના ભાષણો સંભળાવવામાં આવ્યા હતાં. જેના ભાષણથી શબ્બીર કટ્ટરવાદી બન્યો હતો. આરોપી શબ્બીરની મૌલાના કમરે જ ઐયુબ સાથે મુલાકાત કરાવી હતી. ઐયુબે હત્યાના પ્લાનિંગ માટે શબ્બીરને તૈયાર રહેવા કહ્યું હતું. મુંબઈનો મૌલાના કમર જે TFIનો સદસ્ય છે અને પાકિસ્તાનના ત્રણ- ચાર સંગઠનો પણ આમાં સામેલ હોવાની માહિતી બહાર આવી છે. આ તરફ એટીએસ, અમદાવાદ ગ્રામ્ય અને ધંધુકા પોલીસે ધંધુકામાં આવેલી સર મુબારકની દરગાહ તથા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી હતી. જ્યાં પોલીસને સર મુબારક દરગાહની પાછળના ભાગે વાડી વિસ્તારમાં કૂવા પાસેથી હત્યામાં વપરાયેલી બાઈક અને જે પિસ્તોલથી હત્યાને અંજામ અપાયો હતો તે હથિયાર પણ મળી આવતા જપ્ત કર્યા હતાં. આ કેસમાં અમદાવાદના મૌલાના સહિત કુલ પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. શનિવારના પોલીસે અમદાવાદનો મૌલાના મહંમદ ઐયુબ અને બે હત્યારાને કૉર્ટમાં રજૂ કર્યા હતાં. જ્યાં પોલીસે આરોપીઓના 15 દિવસના રિમાંડની માગ કરી હતી. જોકે કૉર્ટે ત્રણેય આરોપીઓના 5 ફેબ્રુઆરી બપોર સુધીના રિમાંડ મંજૂર કર્યા છે. રિમાંડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થવાની પોલીસે શક્યતા વ્યકત કરી છે. તો મોડી રાત્રીના મૌલાનાને હથિયાર આપનાર અજીમ સમાની મોરબીના મિતાણા ગામમાંથી ધરપકડ કરી હતી.