અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદીઓ માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. એટલું જ નહીં, છેલ્લા બે દિવસથી તો કોરોનાના કેસોની સામે ડિસ્ચાર્જ થનારા લોકોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. એટલું જ નહીં, અમદાવાદમાં લોકોના મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે.


ગઈ કાલની જ વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના 162 કેસો નોંધાયા હતા. જ્યારે તેની સામે 201 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આવી જ રીતે અમદાવાદ ગ્રામ્યમાં 15 કેસ નોંધાયા હતા. જેની સામે 15 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાથી 8 લોકોના મોત થયા હતા. જ્યારે ગ્રામ્યમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

4 જુલાઇની વાત કરીએ તો, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના 165 કેસ નોંધાયા હતા. જેની સામે 211 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. એવી જ રીતે અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના 7 કેસ નોંધાયા હતા, જેની સામે 17 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 4 જુલાઇએ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 9 લોકોના મોત થયા હતા.