અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે (Gujarat Corona Cases) કાળો કહેર મચાવ્યો છે. તેમાં પણ અમદાવાદ (Ahmedabad) અને સુરતની (Surat) સ્થિતિ સૌથી ચિંતાજનક છે. શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 9541 પોઝિટિવ કેસ નોંધાયા હતા.  જ્યારે સુરતમાં ૨૬-અમદાવાદમાં ૨૫ સહિત કુલ ૯૭ના મૃત્યુ થયા હતા. ગુજરાતમાં એક્ટિવ કેસ હવે ૫૫,૩૯૮ છે જ્યારે ૩૦૪ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૨૭ હજાર એક્ટિવ કેસ હતા. આમ, ૭ દિવસમાં રાજ્યમાં એક્ટિવ કેસમાં બમણો વધારો થયો છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે. 


જાણીતા ગુજરાતી દૈનિકના અહેવાલ મુજબ, અમદાવાદ સહિત રાજ્યભરમાં રાત્રિ કરફ્યું (Night Curfew) દરમિયાન ઇમરજન્સી સેવા ૧૦૮ને સાઇરન ન વગાડવાની સૂચના રાજ્ય સરકારમાંથી મળી છે. દિવસ દરમિયાન પણ ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવી , તે સિવાય  નાહકની સાયરનો વગાડીને લોકોમાં ભય ફેલાવવાથી દુર રહેવાની અપીલ તમામ પ્રકારની એમ્બ્યુલન્સ સેવાઓને પણ કરવામાં આવી  હોવાનું જાણવા  મળે છે.


ઇમજરન્સી સેવા ૧૦૮ના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યભરમાંથી રોજના ૧૦ થી ૧૫ હજાર કોલ વોલ્યુમ આવી રહ્યા છે. ગઇકાલે એકસામટા ૨૫ હજાર કોલ વોલ્યુમ આવ્યા હતા. કોરોના સહિતની ઇમરજન્સીના બેક ટુ બેક કેસો આવી રહ્યા હોવાથી રિસ્પોન્સ ટાઇમ પણ વધી રહ્યો છે.


આ સ્થિતિમાં ખાસ કરીને અમદાવાદમાં રાત-દિવસ ૧૦૮ સહિતની વિવિધ એમ્બ્યુલન્સો દોડાદોડ કરી રહી છે. ટ્રાફિક હોય કે ન હોય છતાંય સતત વાગતી સાયરનોથી આખો વિસ્તારો ગુંજી ઉઠે છે. રાત્રિ દરમિયાન તો કરફ્યું હોવા છતાંય એમ્બ્યુલન્સો સાયરનના ઘોંઘાટ સાથે પુરપાટ પસાર થતી હોય છે.  આ સ્થિતિમાં લોકો પેનિક થાય છે. લોકોમાં ડર એવો પેસી જાય છે કે હવે શું થશે, શું થવા બેઠું છેે ? એમ્બ્યુલન્સોના  બિનજરૂરી સાયરનથી લોકોમાં ગભરાટ ન ફેલાય તે માટે રાજ્ય સરકારના સુચના મુજબ આજથી જ ૧૦૮ ના તમામ કર્મચારીઓને બિનજરૂરી સાયરનો વગાડવાથી દુર રહેવાની સુચના અપાઇ હોવાનું ૧૦૮ના અધિકારીઓ જણાવી રહ્યા છે.


દિવસે પણ ફક્ત ટ્રાફિક હોય ત્યારે જ સાયરન વગાડો. રાત્રિ કરફ્યુમાં તો ટ્રાફિક હોતું નથી. આ સ્થિતિમાં સાયરન વગાડયા વગર જ ૧૦૮ ની વાન દોડાવવાની સુચના અપાઇ છે. હા ટ્રાફિક હોય અને સાયરન વગાડવુ પડે તે બાબત માન્ય ગણાશે. પરંતુ તે સિવાય સાયરન ન વગાડવાની સુચના અપાઇ છે.


રાજ્યમાં હાલમાં ૬૬૦ જેટલી ૧૦૮ વાનો છે. જેમાથી અમદાવાદમાં ૮૯ જેટલો વાનો છે. આગામી એકાદ દિવસમાં અમદાવાદમાં નવી ૫૦ જેટલી ૧૦૮ ઇમરજન્સી વાન ઉમેરીને અમદાવાદની ઇમરજન્સી સેવાને વધુ સુદઢ બનાવવાનો પ્રયાસ કરાશે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.. રાજ્યમાં કોરોના નવા નવા રેકોર્ડ સર્જી રહ્યો છે.. ત્યારે શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 9541 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે સુરતમાં ૨૬-અમદાવાદમાં ૨૫ સહિત કુલ ૯૭ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક્ટિવ કેસ હવે ૫૫,૩૯૮ છે જ્યારે ૩૦૪ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૨૭ હજાર એક્ટિવ કેસ હતા. આમ, ૭ દિવસમાં રાજ્યમાં એક્ટિવ કેસમાં બમણો વધારો થયો છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે.