અમદાવાદઃ ઘુમાના કબીર આશ્રમના મહંત કૃપાચરણ ગોસ્વામીનો અપહરણ પછી ગણતરીની કલાકોમાં મહંતનો નાટકિય રીતે છૂટકારો થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આશ્રમની અંદાજે ૫૦૦ કરોડની જમીન મામલે અપહરણ થયાની ચર્ચા થઈ રહી છે. પોલીસ જ મહંતને ઉઠાવી ગઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


શહેરના ઘુમા સ્થિત કબીર આશ્રમના મહંત કૃપાચરણ ગોસ્વામીનું આશ્રમ નજીકથી બોલેરો કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું. બુધવારે સાંજે મહંતનું અપહરણ થયું હતું. ઘટનાની પોલીસને જાણ કરાતા બોપલ પોલીસ, એલસીબી અને એસઓજી સહિતની ટીમો મહંતની શોધખોળમાં લાગી હતી.

નોંધનીય છે કે, આશ્રમની અંદાજે ૫૦૦ કરોડની જમીનનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા અપહરણની આશંકાને લઈ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન થોડા સમય પછી મહંત કૃપાચરણ ગોસ્વામી રાત્રે ૯.૩૦ વાગ્યે રિક્ષામાં બેસી જાતે જ ઘરે આવી ગયા હતા. આ અંગે મહંતની પૂછપરછ કરી વધુ વિગતો મેળવવાનો પોલીસ દ્વારા પ્રયાસ ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સમગ્ર અપહરણકાંડની ઘટના પાછળ ખુદ પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાની ચર્ચા થઈ રહી છે. અપહરણકર્તાઓ અન્ય કોઇ નહીં પરંતુ પોલીસ જ હોવાનુ ચર્ચા છે. મહંતને ઉઠાવી ગયા બાદ ઉહાપોહ થતાં મહંતની રિક્ષામાં રવાના કરી દિધા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.મહંતે આ જમીન પર અનેક લોકોને ચીઠ્ઠીઓ કરી આપી હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.