અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા એક મહિનામાં બ્રિટનથી આવેલી કુલ ૭ ફ્લાઇટના આશરે ૧,૪૦૫ જેટલા મુસાફરોના પણ આરટી-પીસીઆર ટેસ્ટ રાજ્ય સરકાર કરશે. મુસાફરોની યાદી બનાવી જે તે જિલ્લાના અધિકારીઓને મોકલી ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવાનું કહેવામાં આવ્યું છે. આ યાદીમાં 200 જેટલા મુસાફરો અમદાવાદના હોવાનું જણાયું છે.


બ્રિટનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર સામે આવ્યા બાદ હાહાકાર મચી ગયો છે. આ નવો વાયરસ ઝડપથી ફેલાતો હોય અને વધારે ઘાતક હોવાનું સામે આવ્યું છે. મંગળવારે જ અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી આવેલી ફ્લાઇટના 270 લોકોમાંથી ૪ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

તમામ લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ કરાયા હતા અને તેઓને સાત દિવસના 'હોમ કર્વારન્ટાઇન' માં મોકલી અપાયા હતા. ભારતમાં આ નવા વાયરસનો પગપેસારો ન થાય તે માટે સરકાર એલર્ટ મોડ પર છે. આ મુદ્દાને ગંભીરતાથી લેતા ગુજરાત સરાકરે સાવચેતીના ભાગરૂપે બ્રિટનથી આવેલા મુસાફરોના ફરજિયાતપણે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે.

મળતી માહિતી મુજબ હાલમાં છેલ્લા એક માસ દરમિયાન બ્રિટનથી આવેલી ૭ ફ્લાઇટના મુસાફરોનું લિસ્ટ તૈયાર કરી દેવાયું છે. અલગ અલગ જિલ્લાના આ મુસાફરો હોય જે તે જિલ્લાને આ મુસાફરોની યાદી મોકલી આપવામાં આવી છે અને તેમના આરોગ્યની તપાસ કરવા, કોરોનાના લક્ષણો જાણવા માટે સર્વેલન્સની ટીમો દોડાવાઇ છે.

આ તમામ મુસાફરોનો સાવચેતીના ભાગરૂપે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. નવા પ્રકારના કોરોનાને ગુજરાતમાં ફેલાતો રોકવા માટે આ કવાયત હાથ ધરાઇ છે.