અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ બુલેટિન અનુસાર તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. આ સાથે જ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર નહીં કરી શકે. રૂપાણી પછી ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા અને સાંસદ વિનોદ ચાવડાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.


હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પીએ શૈલેષ માંડલીયા પણ કોરોનાં સંક્રમિત થયાં છે. સીએમનો કોરોનાં રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમનાં પીએએ પણ RT PCR ટેસ્ટ કરાવ્યો હતો. શૈલેષ માંડલીયાને પણ યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. મુખ્યમંત્રીને કોરોના પોઝિટિવ આવતા મંત્રીઓ, હોદ્દેદારોના ટેસ્ટ થશે. સ્થાનિક સ્વરાજના ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા આગેવાનો અને નેતાઓને પણ કોરોના ટેસ્ટ કરાવવા સૂચના આપવામાં આવી છે.

જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંપર્કમાં આવેલ 9 નેતાઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. મંત્રી યોગેશ પટેલ અને પ્રદેશ મહા મંત્રી ભાર્ગવ ભટ્ટ સહિત 6નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ડો જીગીષાબેન શેઠ નો RTPCR ટેસ્ટ હજુ પેન્ડિંગ છે. તેમજ વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહે કોરોના વેકસીન લીધેલી છે.

નોંધનીય છે કે, નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી હતી. તેમની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે યુએન મહેતા હોસ્પિટલ ના તબીબોએ જણાવ્યા પ્રમાણે તેમની તબિયત સ્થિર છે. જોકે 24 કલાક તબીબોએ આરામની સલાહ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગઈકાલે વડોદરાની સભામાં તબિયત લથડતા આજના તેઓના તમામ કાર્યક્રમો અને મુલાકાતો રદ કરવામાં આવી છે.

થોડી વાર પહેલા જ યુએન મેહતા હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન પ્રસારિત કરાયું હતું. સી એમ વિજય રૂપાણીની તબિયત સુધારા પર છે. સી એમના ઇસીજી , ઇકો , સીટી સ્કેન રિપોર્ટ નોર્મલ છે. ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે. સીએમને 24 કલાક ઓબ્ઝર્વેસનમાં રાખવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની તિબયત અંગે ખબર-અંતર પૂછવા તેમના પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી કે કૈલાસનાથન UN મહેતા હોસ્પિટલ પહોચ્યા છે. આ પછી અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલે પણ તેમના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારે આજે સીએમ રૂપાણીનો સૌથી નાનો પ્રશંસક આવ્યો ખબર કાઢવા પહોંચ્યો હતો.

વિવેક દાસ નામના બાળક સીએમની ખબર કાઢવા યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યો હતો. વિવેકની બહેનના કેન્દ્રીય શાળામાં પ્રવેશ માટે સીએમને રજુઆત કરી હતી. સીએમ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને રજુઆત કરાતા બાળકની બહેનનું એડમિશન કેન્દ્રીય શાળામાં થયું હતું.