અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યના રાજીનામા પડ્યા છે. કોંગ્રેસના કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે ગઈ કાલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રૂબરુમાં રાજીનામું આપી દીધું હતું. જોકે, આ બધાની વચ્ચે પોતાના પક્ષના બે ધારાસભ્યોના રાજીનામા પડ્યા પરંતુ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને આ વાતની ખબર જ નહોતી!


ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુરુવારે તેમણે પત્રકાર પરીષદમાં ધારાસભ્યોના રાજીનામાની વાતને સ્વીકારવાને બદલે પાયાવિહોણી ગણાવી હતી. તેમજ તેમને મીડિયાના માધ્યમથી આ વાત જાણવા મળી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારો સાથેની વાતચીતમાં આ સત્તાવાર જાહેરાત કરી હતી કે, કોંગ્રેસના બંને ધારાસભ્યોએ બુધવારે સાંજે જ રાજીનામા આપી દીધા છે. આમ, ચાવડાને રાજીનામાના 12 કલાક કરતા પણ વધુ સમય પછી ખબર નહોતી.

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બંને ધારાસભ્યોએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે. બંને ધારાસભ્યોના માસ્ક ઉતરાવી તેમજ રાજીનામા પર સહીની ખરાઇ કર્યા પછી રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. આમ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામા પડ્યા છે. આ સાથે કોંગ્રેસનું સંખ્યાબળ 66 થયું છે. જોકે, આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે રાજીનામું આપ્યું નતી. તેમણે આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટતા પણ કરી હતી.