અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. તેમજ હાલ, રાજ્યમાં 5 હજારથી ઓછા કોરોનાના એક્ટિવ કેસ રહ્યા છે. અત્યારે ગુજરાતમાં ડાંગ અને અરવલ્લી બે જિલ્લા કોરોનામુક્ત છે. અરવલ્લી જિલ્લામાં તો 100થી વધુ કેસ નોંધાયા હતા. હાલ, આ જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નથી. ડાંગ પણ છેલ્લા ઘણાં સમયથી કોરોનામુક્ત છે.


ગુજરાત સરકારના કોવિડ-19 ડેશબોર્ડ પર આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં એવા કેટલાય જિલ્લા છે, જ્યાં 10થી ઓછા કોરોનાના એક્ટિવ કેસો છે. આ જિલ્લાઓની વાત કરીએ તો અમરેલીમાં 7, આણંદમાં 5, બોટાદમાં 4, દાહોદમાં 9, દેવભૂમિ દ્વારકામાં 2, ગીર સોમનાથમાં 3, જામનગરમાં 9, જૂનાગઢમાં 4, મોરબીમાં 1, નર્મદામાં 4, પોરબંદરમાં 4 અને તાપીમાં 1 એક્ટિવ કેસ છે. ત્યારે આ જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.

નોંધનીય છે કે, ગઈ કાલે રાજ્યમાં 318 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ, રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 67.40 ટકા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 12,212 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 1122 લોકોના મોત થયા છે.