અમદાવાદઃ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ આ ચારેય મહાનગરોમાં વધતા કોરોના સંક્રમણને લઈ કર્ફ્યુની મુદ્દતમાં 15 દિવસનો વધારો કરાયો છે. ત્યારે અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સ્થાનિક તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે શહેરની ખાણીપીણી બજાર ઉપર નિયંત્રણ આવશે.


વસ્ત્રાપુર અને લો ગાર્ડન સહિતની ખાણીપીણી બજારો ઉપર જનતાની ભીડ એકત્ર ન થવા દેવા લારી ગલ્લા ધારકોને મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. આગામી સપ્તાહથી ખાણીપીણી બજારો ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવશે. ચૂંટણી બાદ વધતા જતા કેસના કારણે ખાણીપીણી બજારો સીલ કરવા સુધીની AMCની તૈયારીઓ છે. સોમવારથી નિયમો કડક બનાવવામાં આવશે.

નોંધનીય છે કે, રાજ્યમાં ચૂંટણી પહેલા કોરોનાના કેસ ઘટીને 200 સુધી આવી ગયા હતાં. જોકે નેતાઓએ ચૂંટણી પ્રચારના નામે જે નિયમોનો દાટ વાળ્યો ને કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વકર્યું અને દરરોજના કેસ 400ને પાર પહોંચી ગયા. આ જ કારણે હવે ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 1લી માર્ચથી વધુ 15 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. હાલ ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની મુદ્દત 28 ફેબ્રુઆરીના પૂર્ણ થતી હતી. તે પહેલા જ રાત્રી કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 15 માર્ચ સુધી રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે.

રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉંચકતા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાત્રી કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના સંક્રમણ પર અંકુશ મેળવવા રાજ્યમાં સર્વેલંસ સઘન બનાવાશે.

આ ઉપરાંત ફરી એકવાર ધનવંતરી રથ શરૂ કરવામાં આવશે. જ્યારે બોર્ડર એરિયામાં સ્ક્રીનીંગની કામગીરી કરવા સૂચના આપવામાં આવી. આ ઉપરાંત વેક્સિનેશનની પ્રક્રિયાને પણ વધુ ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો.