અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના દૈનિક કેસો 1400ને પાર થયા પછી ફરીથી દૈનિક કેસોમાં ઘટાડો નોંધાવાનો શરૂ થયો છે અને ધીમી ધીમે દૈનિક કેસો ફરીથી ઘટી રહ્યા છે. એટલું જ નહીં, રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર પણ સતત વધી રહ્યો છે.


ગઈ કાલે રાજ્યમાં 1181 કેસો નોંધાયા હતા. જેની સામે 1413 દર્દીઓ સ્વસ્થ થયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 87.28 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 1,32,310 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,51,596 કેસ નોંધાયા છે. તેમજ હાલ, 15,717 એક્ટિવ કેસો છે.



રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,92,942 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,92,540 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 402 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે 50 લાખને પાર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 50 લાખ 12 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાત દેશનું સાતમું રાજ્ય બન્યું છે. જ્યાં 50 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હોય.



સમગ્ર દેશમાંથી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧ કરોડ ૧૮ લાખ ટેસ્ટ કરાયા છે. ગુજરાતમાં હાલ ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ૩ ટકા છે. એટલે કે પ્રત્યેક ૧૦૦ ટેસ્ટમાં ૩ વ્યક્તિના ટેસ્ટ પોઝિટિવ આવે છે. સૌથી ઓછો ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ધરાવતા રાજ્યોમાં ગુજરાત સાતમાં સ્થાને છે.

ગુજરાતમાંથી સૌથી વધુ ૧૩ લાખ ૮૩ હજાર ટેસ્ટ અમદાવાદ જિલ્લામાં અને સૌથી ઓછા ૧૫ હજાર ૪૯ ટેસ્ટ ડાંગમાં કરાયા છે. ગુજરાતના ૯ જિલ્લામાંથી કોરોનાના ૧ લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કરવામાં આવેલા કુલ ૫૦ લાખ ટેસ્ટમાંથી અડધોઅડધ ટેસ્ટ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર એમ ચાર જિલ્લામાં થયા છે અને છેલ્લા એક મહિનામાં જ કુલ ૧૮ લાખ ૬૭ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે.