અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પછી ગુજરાતમાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ ખૂબ જ વધારી દેવામાં આવ્યું છે, જેને કારણે કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. ગઈ કાલે રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં 1204 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં, ગઈ કાલે અત્યાર સુધીના એક દિવસના સર્વાધિક 72,857 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે 1120.87 ટેસ્ટ પ્રતિ દિન પ્રતિ મીલીયન વસ્તીના છે.


જોકે, આ બધાની વચ્ચે ગુજરાત માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે, ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. ગઈ કાલે પણ નવા આવેલા કેસો કરતાં વધુ 1324 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 80 ટકા થઈ ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 67,277 દર્દીઓ સાજા થયા છે.

જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ કોરોનાના કેસ 84,466 થયા છે. તેમજ હાલ ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 14320 છે. આમ, એક્ટિવ કેસોની દ્રષ્ટીએ ગુજરાત દેશમાં 15માં નંબરે છે. જ્યારે કુલ કેસોની દ્રષ્ટીએ જોઇએ તો દેશમાં ગુજરાત 10માં સ્થાને છે.