અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે અને દૈનિક કેસો પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે, ત્યારે રાજ્યમાં વધુ એક જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આ સાથે ગુજરાતમાં ફરીથી ત્રણ જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આજે અરવલ્લી જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. જ્યારે ગઈ કાલે પંચમહાલ જિલ્લો કોરોનામુક્ત બન્યો હતો. ત્યારે હવે અરવલ્લી, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં એક પણ કોરોનાનો એક્ટિવ કેસ નથી. 


આ પહેલા પાટણ અને ડાંગ જિલ્લા કોરોનામુક્ત બન્યા હતા, પરંતુ તે જિલ્લામાં ફરીથી કોરોનાના કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યારે પાટણ, મોરબી, મહિસાગરમાં એક-એક એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. 


ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 50 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે. 


 


અહીં ન નોંધાયો એક પણ કેસ


વડોદરા શહેરમાં 8, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 4, આણંદમાં 2, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ, અમરેલી,  અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર  અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.


હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર


રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 109 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 389 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 304 દર્દીની હાલત સ્થિર છે.


કયા શહેરમાં કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત


વડોદરા શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 21, સુરત શહેરમાં 6, જામનગર શહેરમાં 9, સુરત ગ્રામ્યમાં 2, નવસારી, વલસાડ, વડોદરા,  અરવલ્લી, સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.