અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના સંક્રમણને કારણે આગામી દિવસોમાં આવી રહેલી નવરાત્રિમાં ગરબા રમવાની મંજૂરી મળશે કે નહીં, તેના પર સૌની નજર છે. ત્યારે ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી છે કે, ઘણાં લોકોમાં એવી સમજ પ્રવર્તી રહી છે કે, કોરોનાથી બચવા માસ્ક પહેરીને ગરબા રમીશું. જોકે, ડોક્ટરોએ આ બાબતે ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે, માસ્ક પહેરીને ગરબા રમવુ એ જોખમી બની શકે છે.


તેમણે માસ્ક પહેરીને ન રમવા અંગે કારણ આપ્યું છે કે, ગરબા રમો એટલે હાર્ટબીટ વધે, સાથે સાથે શ્વાસોશ્વાસની ક્રિયા પણ ઝડપી બને. આ સંજોગોમાં ખેલૈયાએ માસ્ક પહેર્યુ હોય તો ગભરામણનો અહેસાસ થશે. જેના કારણે ખૈલૈયા જો માસ્ક નહી પહેરે તો કોરોનાનું સંક્રમણ થઇ શકે છે. માસ્ક પહેરો તો પણ અને ન પહેરો તો પણ જોખમ છે.

આગામી સમયમાં આવી નવરાત્રિમાં સાર્વજનિક ગરબા યોજવા સામે ડોક્ટરો વિરોધ નોંધાવી રહ્યા છે. અમદાવાદ, સુરત પછી હવે રાજકોટના ડોક્ટર્સ પણ સાર્વજનિક ગરબાનો વિરોધ કરી રહ્યા છે. રાજકોટ આઇએમએના પ્રમુખ જય ધિરાણીએ જણાવ્યું હતું કે, વર્તમાન કોરોનાની સ્થિતિને લઈને ગરબા ન થવા જોઈએ. ગરબાને લઈને IMAએ કહ્યું ગરબાથી સંક્રમણ વધી જશે.

ગુજરાતના ડોક્ટરોના સમર્થનમાં કલાકારો પણ આવી રહ્યા છે. લોકગાયક આદિત્ય ગઢવીનું માનવું છે કે, નવરાત્રી ના થવી જોઈએ. ડિઝીટલ મીડિયમથી નવરાત્રી થાય તો તે અલગ રસ્તો છે.
પહેલા આપણે સંક્રમણ કઈ રીતે રોકી શકીએ તે વિચારવું જોઈએ. આ સિવાય ગાયક રાજલ બારોટે જણાવ્યું હતું કે, સરકાર જે નિર્ણય લે તે માન્ય છે. અન્ય કેટલાક કલાકારોએ પણ ડોક્ટરનું સમર્થન કર્યું હતું.