ગાંધીનગરઃ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશના નિયમોને લઈને શિક્ષણ વિભાગનો પરિપત્ર જાહેર થયો છે. જે વિદ્યાર્થીએ ધોરણ -૧૦ ગણિત બેઝિક સાથે પાસ કરેલ હોય તે ધોરણ -૧૧ માં વિજ્ઞાન પ્રવાહમાં B ગૃપમાં પ્રવેશ મેળવી શકશે. પરંતુ A અથવા AB ગૃપમાં પ્રવેશ મેળવી શકશે નહિ. A અને AB ગ્રુપમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરવી પડશે. 


ધોરણ -૧૦ માં ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ -૧૧ વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગૃપમાં પ્રવેશ મેળવવા માંગતી હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમ્યાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી ધોરણ -૧૧ વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB પ્રવેશ મેળવી શકશે.




નખત્રાણા તાલુકાના લાખિયારવિરાના 19 વર્ષિય યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જવાથી મોત


કચ્છઃ કચ્છથી હરિદ્વાર પહોંચેલા પરિવાર સાથે એક કરૂણ ઘટના બની છે. નખત્રાણા તાલુકાના લાખિયારવિરાના 19 વર્ષિય યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જવાથી મોત થતા ગામમાં ગમગની છવાઇ. શનિવારે હરિદ્વારમાં ડૂબી ગયા બાદ યુવકની લાશ વ્યાપક શોધખોળના અંતે રવિવારે મળી હતી. સોમવારે તેના વતન ખાતે અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. 


આ અંગે મળતી વિગતો મુજબ, શનિવારે કલ્પેશ નરશી ડુંગરાણી (ઉ.વ. 19) હરિદ્વારના સપ્તર્ષિ ગંગા ઘાટ પર સ્નાન કરવા પહોંચ્યો હતો. પરિવારજનો સહિત અન્ય યાત્રિકોના સંઘ સાથે હરિદ્વાર આવ્યો હતો. દરમિયાન કલ્પેશ ગંગાના જોરદાર પ્રવાહમાં વહી ગયો હતો. ગંગામાં ડૂબી કલ્પેશની શોધખોળ ચાલુ કરાઇ હતી. રવિવારે બપોર બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતક કલ્પેશ ત્રણ બહેનોનો એકનોએક ભાઇ હતો. આ ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છે. 


Surat : સ્તનપાન કર્યા પછી પાંચ માસની બાળકી મોતને ભેટી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી સાચું કારણ આવશે સામે


સુરત : શહેરના પાલનપુરમાં સ્તનપાન કર્યા બાદ પાંચ માસની માસૂમ બાળકીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં શંકરનગર ખાતે રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બાળકીને માતાએ સ્તનપાન કરાવ્યા બાદ મોતને ભેટી છે.  પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા રાકેશ દાસ ફૂટની લારી ચલાવી પત્ની કિરણદેવી અને બે પુત્ર તથા ત્રણ પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. 


દરમિયાન રાકેશની ત્રણ પુત્રી પૈકી પાંચ માસની શિવાનીને સોમવારે રાતે સ્તનપાન કરાવ્યું હતું. પાંચ માસની શિવાની સવારે નહીં જાગતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે શિવાનીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોત અંગનું સચોટ કારણ જાણવા માટે રાંદેર પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જેના રિપોર્ટ બાદ કારણ જાણવા મળશે. વધુ તપાસ રાંદેર પોલીસ કરી રહી છે.