અમદાવાદઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પત્રકાર પરીષદ સંબોધી હતી. તેમણે પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે, બધા લોકોને નમસ્કાર. હું ઘણા મહિનાથી ગુજરાતમાં ફરી રહ્યો છું. લોકોને મળી રહ્યો છું. વકીલોને મળ્યા, વેપારીઓને મળ્યા, ખેડૂતોને મળ્યા. રિક્ષા ડ્રાઇવરોને મળ્યા. બધા કહે છે, ગુજરાતમાં એટલો ભ્રષ્ટાચાર છે કે, કોઈ પણ વિભાગમાં કામ કરાવવું હોય તો પૈસા વગર કામ થતું નથી. તેમણે કહ્યું કે, ભાજપની સરકાર જઈ રહી છે. ગુજરાતમાં આપની સરકાર બની રહી છે. 


તેમણે કહ્યું કે, તેમની સામે કંઈ બોલો તો ડરાવવા પહોંચી જાય છે. રેડની ધમકી આપે છે. ધંધો બંધ કરાવી દેવાની અને બરબાદ કરાવી દેવાની ધમકી આપી છે. આજે અમે ગેરન્ટી આપીએ છીએ કે, આપની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત અને ભયમુક્ત શાસન આપીશું. 


પાંચ મોટી જાહેરાત
1. મુખ્યમંત્રી, મંત્રી, એમએલએ, એમપી કે ઓફિસર કોઈને ભ્રષ્ટાચાર નહીં કરવા દઇએ. ભ્રષ્ટાચાર કરશે તો સીધા જેલ જશે. અમારો હશે તો એને પણ જેલમાં મોકલી દઇશું. સરકારનો એક એક રૂપિયો જનતા ઉપર ખર્ચ કરાશે. એક પણ રૂપિયા સ્વીસ બેંકમાં નહીં જાય. ગુજરાતનો રૂપિયો ગુજરાતની જનતા પર ખર્ચ કરાશે.
2. દરેક વ્યક્તિનું કામ રૂપિયા આપ્યા વગર થશે. રિશ્વત નહીં આપવી પડે. કામ કરાવવા માટે ઓફિસ નહીં જવું પડે. સરકારી કર્મચારી તમારા ઘરે આવીને કામ કરી જશે.


3. નેતા-મંત્રીઓના કાળા ધંધા બંધ કરાવીશું. 


4. સરકારી ભરતીના પેપર ફોડનારને છોડીશું નહીં. દસ વર્ષમાં જેટલા પેપર ફૂટ્યા છે, તેમના માસ્ટરમાઇન્ડને તેમને જેલભેગા કરીશું. 


5. સૌની યોજના સહિતના જેટલા ગોટાળે છે, તેની તપાસ કરાવીશું. તેમણે જેટલા રૂપિયા લૂંટ્યા છે તે રૂપિયા પરત લાવીશું. તેમાંથી ગુજરાતનો વિકાસ કરીશું. ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત, ભયમુક્ત શાસન આપીશું.