Biparjoy cyclone: બિપરજોય વાવાઝોડા સંદર્ભે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વાવાઝોડાની પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તેની માહિતી લોકો માટે શેર કરી છે. ગુજરાતના દરિયા કિનારે તા. ૧૪ અને ૧૫ જૂન ૨૦૨૩ દરમિયાન બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા રહેલી છે ત્યારે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.


 



વાવાઝોડાની આગમચેતીરુપે આ વાતોનું ધ્યાન રાખવું


ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની યાદીમાં જણાવ્યાનુંસાર વાવાઝોડા પહેલાં નાગરિકોએ આગાહી માટે રેડીયો,ટી.વી. સમાચારો અને જાહેરાતોનાં સંપર્કમાં રહેવું, માછીમારોએ દરિયો ન ખેડવો, સલામત સ્થળે બોટને લાંગરવી, દરિયાકાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું, ઘરના બારી-બારણાં અને છાપરાનું મજબૂતીકરણ કરવું તેમજ ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડીયો જેવી તાત્કાલિક જરૂરીયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું અને પ્રાણીઓને સલામત સ્થળે લઇ જવા.


વાવાઝોડા દરમિયાન નાગરિકોએ પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઉભા ન રહેવું, ઘરની બહાર નીકળવું નહીં, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરનાં તમામ બારી બારણાં બંધ કરી દેવા, ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.


આ ઉપરાંત વાવાઝોડા પછી નાગરિકોએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો,ખુલ્લા-છૂટા પડેલા વાયરોને અડકવું નહીં, ભયજનક અતિ નુકશાન પામેલ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા, ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો તથા ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો વગેરે બાબતોનું ધ્યાન રાખવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે. 


ગુજરાત કોંગ્રેસ વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા તરફથી પણ વાવાઝોડાને લઈને લોકોને અપીલ કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને લઈને આટલી તકેદારી રાખો!


વાવાઝોડા પહેલા



  1. સમાચારો અને સૂચનાઓ ઉપર ધ્યાન આપો.

  2. માછીમારોએ દરિયામાં જવું નહિ, સલામત સ્થળે બોટ લંગારવી.

  3. ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, દવાઓનો જથ્થો તૈયાર રાખો.

  4. દરિયાકાંઠે રહેતા લોકો તંત્રની સૂચના મુજબ સલામત સ્થળે ખસે.

  5. પાલતુ પશુઓને સલામત સ્થળે લઈ જાઓ,બાંધો નહિ.

  6. અફવાઓ ફેલાવશો નહિ અને ગરભરાટ કરશો નહિ.


વાવાઝોડા દરમિયાન



  1. ઘરની બહાર નિકળવું નહિ, બારી, બારણાં બંધ રાખો.

  2. જર્જરિત મકાન, ઝાડ, થાંભલા પાસે ઉભુ રહેવું નહિ.

  3. વીજ પ્રવાહ અને ગેસ કનેક્શન બંધ કરી દેવા.

  4. તંત્રની સુચના મળ્યા બાદ જ ઘરમાંથી બહાર નીકળો.