અમદાવાદઃ શહેરના મહેદાવાદ રોડ પર હિરાપુરા ગામ પાસે આવેલી ડીપીએસ ઈસ્ટ સ્કૂલની માન્યતા અંતે રદ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રાથમિક સિક્ષણ વિભાગે પ્રાયમરી એજ્યુકેશન એક્ટ હેઠક કાર્યવાહી કરી પ્રાથમિકની માન્યતા રદ કરી દીધી છે. જોકે, ચાલુ શૈક્ષણિક વર્ષના વિદ્યાર્થીઓ માટે એપ્રિલ 2021 સુધી શાળા ચાલુ રહેશે. એટલું જ નહીં, ત્રણ વર્ષ સુધી માન્યતા વગર વર્ગો ચલાવવા બદલ સ્કૂલને 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જે બે મહિના સુધીમાં ભરવાનો રહેશે.
નોંધનીય છે કે, ડીપીએસ ઈસ્ટ સ્કૂલ કેમ્પસમાં નિત્યાનંદ આશ્રમને અપાયેલી જમીનના વિવાદમાં સ્કૂલની માન્યતા અગાઉ રદ કરાયા બાદ હાઈકોર્ટે ઓર્ડર રદ કર્યો હતો અને રાજ્ય સરકારને ન્યાયિક પ્રક્રિયા કરવા આદેશ કર્યો હતો. જેના અનુસંધાન રાજ્ય સરકારે આ પગલા ભર્યા છે.


નિત્યાનંદ આશ્રમના વિવાદ બાદ સીબીએસઈ અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તપાસ કરતા સ્કૂલ પાસે એનઓસી જ ન હોવાનું સામે આવ્યું હતું. સ્કૂલ મેનેજમેન્ટે જે તે સમયે સરકારની એનઓસી લીધા વગર જ સ્કૂલ શરૂ કરી હતી અને ખોટુ એનઓસી તૈયાર કરી સીબીએઈમાં રજૂ કરવા સહિતના વિવિધ મુદ્દે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

જમીનના અપુરતા દસ્તાવેજો, બીયુ પરમિશન સર્ટિફિકેટ ન હોવા સહિતની અનેક ગેરરીતિઓને લઈને સીબીએઈસી દ્વારા ધો.૯થી૧૨માં એફિલિએશન કેન્સલ કરી માન્યતા રદ કરાયા બાદ ગુજરાત સરકારના પ્રાથણિક શિક્ષણ વિભાગે પણ આરટીઈ એક્ટ હેઠળ પ્રાથમિકની માન્યતા રદ કરી હતી. જેની સામે સ્કૂલ દ્વારા કરાયેલી પીટિશનના કેસમાં હાઈકોર્ટે માન્યતા રદનો ઓર્ડર રદ કર્યો હતો અને રાજ્ય સરકારને ન્યાયિક પ્રક્રિયા કરવા આદેશ કર્યો હતો. કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે કાર્યવાહી કરી હતી અને પ્રાથમિકની માન્યતા રદ કરી હતી.