Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૯૮.૧૩ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૧.૬૩ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૯૨ ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.



આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમા જળાશયોની વિગતો આપતાં રાહત કમિશનરે જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૫.૯૪ મીટર સુધી પહોંચી છે. એટલે કે ડેમમાં ૯૦.૯૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી ૫,૦૦૦ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. 


હવામાન વિભાગના નિયામકે વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે આવતીકાલે તા. ૨૪ ઓગસ્ટના રોજ રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે. આ બેઠકમાં રાહત નિયામકશ્રી સી.સી. પટેલ ઉપરાંત NDRF, SDRF, માર્ગ અને મકાન, આરોગ્ય, પંચાયત, ફિશરીઝ, કૃષિ- પશુપાલન, ફોરેસ્ટ, આર્મી, પોલીસ, સિંચાઇ, SSNNL, GMB, GSDMA સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ સહિતના અઘિકારીઓએ હાજર રહી જરૂરી વિગતો આપી હતી. 


ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી


રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં આગામી 24 કલાક વરસાદ રહેશે. બનાસકાંઠા,સાબરકાંઠા પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેશે . દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં 39 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આગામી 24 કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, મહીસાગર, અરવ્લી અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.


હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપી છે. આજે રાજ્યમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તેની અસર રાજ્યભરમાં જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.