અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે આજે લવ જેહાદ કાયદાની અમુક જોગવાઈઓ પર  મનાઇ હુકમ આપ્યો છે.  ગુજરાત ધર્મસ્વતંત્રતા સંશોધન બિલ 2021ને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદારે ધર્મસ્વતંત્રતા કાયદામાં કરેલા સુધારાની જોગવાઈને લઈને વાંધો ઉઠાવ્યો હતો. અરજદારની રજુઆત એ પણ હતી કે આંતરધર્મિય લગ્નને લઈને કરવામાં આવેલી જોગવાઈને કારણે કોઈ પણ ફરિયાદ કરી શકે, એ જોગવાઈ બંધારણે આપેલી સ્વતંત્રતાથી વિપરીત છે. 


આજે હાઇકોર્ટે આ કેસમાં વચગાળાનો ચુકાદો આપ્યો છે. લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટ મનાઈ હુકમ આપ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન છે. બળજબરી દબાણ કે લોભ લાલચ લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહીં. 


સુધારો કરેલા કાયદામાં આંતર ધર્મિય લગ્ન કરવાથી પણ ગુનો બનતો હોવાનું કાયદા મુજબનું અર્થઘટન હોવાનો અરજદારે દાવો કર્યો હતો. બળજબરીપૂર્વક ધર્મ અંગિકાર કરાવવો એ ખોટું જ  હોવાની વાત અરજદાર કોર્ટ સમક્ષ કરી હતી. પ્રથમ સુનાવણીમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ઈશ્યુ કરી હતી. બીજી સુનાવણીમાં સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટમાં કાયદાની જોગવાઈઓ અંગે એ રજૂઆત કરી કે,  આ આઈપીસી નથી. આ કેસમાં ડી.એસ.પી. કક્ષાના અધિકારી તપાસ કરતાં હોય છે. આ મામલામાં ખોટું થાય એવી શક્યતાઓ જ નથી. ખોટી રીતે ડરાવી ફોસલાવીને લગ્ન કરનારાઓ જ ડરે. ધર્મ સ્વતંત્રતાના કાયદાની જોગવાઈઓનું અર્થઘટન અરજદાર જે રીતે કરી રહ્યા છે એ સાચું ન હોવાનું એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટ સમક્ષ નિવેદન કર્યું હતું.


અરજદાર તરફથી વકીલની ગુજરાત હાઇકોર્ટમાં રજુઆત હતી કે, અમારી પાસે વિવિધ ફરિયાદો થઈ હોય એવી માહિતી છે. પોલીસ અધિકારીઓ કાયદાનું અર્થઘટન કઈ રીતે કરશે એ બાબત ધ્યાનમાં લેવા જેવી, તેમ હાઇકોર્ટ કહ્યું હતું. 


શું છે આ કાયદાની જોગવાઈઓ કે જેની પર હાઇકોર્ટે મનાઇહુકમ ફરમાવ્યો ?


કલમ 3... બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન પર રોક. કોઈ વ્યક્તિ સીધી કે અન્ય રીતે દબાણ, લોભ લાલચ કે અન્ય છળકપટથી લગ્ન કરવા કે લગ્ન કરવામાં મદદગારી કરીને અન્ય વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં કે ધર્મ પરિવર્તન કરાવવાની કોશીશ કરી શકશે નહીં.


3 એ. 


કોઈ પણ વ્યક્તિ, એના માતા પિતા, ભાઈ બહેન કે લોહીથી, લગ્નથી કે વારસાઈથી સબંધ ધરાવતી કોઈ પણ વ્યક્તિ આ કાયદા હેઠળ બનતા ગુના માટે હકુમત ધરાવતા સંબંધિત પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધાવી શકશે.


4. કલમ 3 ની જોગવાઈઓના ભંગ બદલ સજા. જે વ્યક્તિ આ કાયદાની કલમ 3ની જોગવાઈઓનો ભંગ કરશે તેને, દીવાની કાયદાની જવાબદારી ઉપરાંત, ત્રણ વર્ષ સુધીની કેદ અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ થશે. આ કાયદાની કલમ 3ની જોગવાઈઓ ભંગ સગીર, મહિલા કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કિસ્સામાં કરવામાં આવ્યો હશે તો 4 વર્ષ સુધીની કેદ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થશે


4 એ. ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવીને આ કાયદાની કલમ ત્રણના ભંગ બદલ સજાની જોગવાઈ. જે વ્યક્તિ ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવીને આ કાયદાની કલમ ત્રણની જોગવાઈનો ભંગ કરે તો તેવા કિસ્સામાં તેના ત્રણ થી પાંચ વર્ષની સજા અને ઓછામાં ઓછું બે લાખ રૂપિયાનો દંડ થશે આ જોગવાઇઓનો ભંગ સગીર મહિલા કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના કિસ્સા માં કરવામાં આવ્યો હશે તો એવા કિસ્સામાં ઓછામાં ઓછી ચાર વર્ષથી લઈને સાત વર્ષ સુધીની કેદ અને ઓછામાં ઓછો ત્રણ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે



4.બી. લગ્નથી ગેરકયદેસર ધર્મ પરિવર્તન. ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરવાના હેતુથી એક વ્યક્તિએ બીજા ધર્મની વ્યક્તિ સાથે લગ્ન પહેલા કે લગ્ન બાદ ધર્મ પરિવર્તન કર્યું કે કરાવ્યું હશે તો આવા લગ્ન રદ બાતલ ગણાશે. ફેમેલી કોર્ટ કે હકુમત ધરાવતી કોર્ટ આવા લાગને રદ્દ બાતલ ઠેરવી શકશે.



4. સી.


કોઈ સંસ્થાન કે સંગઠન ધાર્મિક સંસ્થાન દ્વારા કરાવાતું ધર્મ પરિવર્તન. કોઈ પણ સંસ્થાન કે સંગઠન આ કાયદાની કલમ 3ની જોગવાઈનો ભંગ કરવા માટે જવાબદાર ઠરશે તો આવી સંસ્થા અને તેના ઇન્ચાર્જને  ત્રણથી દસ વર્ષ સુધીની સજા અને ઓછામાં ઓછો 5 લાખ રૂપિયાનો દંડ થશે.



5.


(1) ધર્મ પરિવર્તન કરતા પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટ ની પરવાનગી લેવાની રહેશે


5.


(2) આંતર ધર્મીય લગ્નની જાણ જિલ્લા મેજિસ્ટ્રેટને કરવાની રહેશે



6.


સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે જિલ્લા મેજિસ્ટ્રેટ ની પરવાનગી વિના આ કાયદા હેઠળ પ્રોસિક્યુશન થઈ શકશે નહીં


6. એ. 


ધર્મ પરિવર્તન ગેરકાયદેસર, દબાણપૂર્વક કે છળકપટ પૂર્વક કે લોભ લાલચ પૂર્વકનું ન હતું તેવું સાબિત કરવાની જવાબદારી આરોપીની રહેશે.