અમદાવાદ: કથિત પ્રેમ પ્રકરણને લઈ ચર્ચામાં આવેલાં અને ગુજરાત સરકારે સસ્પેન્ડ કરેલાં આઈએએસ ગૌરવ દહીયાને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ગાંધીનગર પોલીસ હવે ગૌરવ દહીયા કેસની તપાસ કરી શકશે નહીં તેવો આદેશ ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. નોંધનીય છે કે, ગૌરવ દહીયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, ગાંધીનગર પોલીસ ખોટી રીતે હેરાન કરે છે અને તેને તપાસનો કોઈ હક નથી.

ગૌરવ દહીયાની અરજી પર હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, પીડિતા લીનું સિંહ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મામલે ગુજરાત પોલીસ દ્વારા તપાસ કરવામાં નહીં આવે. આ મામલે હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, એક જ ફરિયાદ મામલે બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તપાસ ના કરી શકે. આ મામલે દિલ્હીમાં તપાસ બાકી છે. આ ઉપરાંત હાઈકોર્ટે કહ્યું કે, ગૌરવ દહીયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ગાંધીનગર પોલીસ દહીયાને તપાસ મામલે બોલાવી શકે છે.

ગૌરવ દહીયાએ હાઈકોર્ટમાં કરેલ અરજીમાં ગાંધીનગર પોલીસ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો હતો. ગૌરવ દહીયાની અરજી મુજબ કથિત ગુના બાબતનું કાર્યક્ષેત્ર દિલ્હી પોલીસને હોય છે. પરંતુ ગુજરાત પોલીસ માત્ર ફરિયાદના મળેલા કાગળના આધારે ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યાં છે. ત્યારે હાઈકોર્ટ આ મામલે જરૂરી નિર્દેશો કરે તેવી માગણી કરવામાં આવી છે.