અમદાવાદઃ   કોરોનાના સારવાર લઇ રહેલા દર્દીઓ માટે રામબાણ ઇલાજ સમાન ગણાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની ગુજરાતમાં હાલમાં સખત ડિમાન્ડ છે. સુરતમાંથી પકડાયેલા નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કૌભાંડનો રેલો અમદાવાદ સુધી પહોચ્યો હતો. જે બાદ એબીપી અસ્મિતાએ કોરોનાની સારવાર અને દવાની ઉપલબ્ધતા અંગેનો રિપોર્ટ દર્શાવ્યો હતો. જેનો ગુજરાત હાઈકોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના નામે થતી કાળા બજારી અટકાવવા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી.  ગુજરાત હાઈકોર્ટમાં ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની કાળા બજારીને લઈને પણ વધુ એક સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે એબીપી અસ્મિતાના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો.


23, જુલાઈ 2020ના રોજ એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે રાજ્ય સરકારે ટોસિલિઝુમેબ ઈન્જેકશનના 4597 યુનિટ માટે સિપ્લાને ઓર્ડર આપ્યો હતો. જેમાંથી કંપનીએ 2340 યુનિટ સપ્લાઈ કર્યા હતા. 24 જુલાઈ,2020ના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં માત્ર 77 યુનિટનો સ્ટોક હતો. સિપ્લાએ રાજ્યને આગામી વીકમાં 150 યુનિટ પૂરા પાડવા જણાવ્યું હતું.  આ ડેટાને હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની કુલ સંખ્યા અને ખરેખર આવા જીવન બચાવવાની દવાઓ માટે જરૂરી દર્દીઓની કુલ સંખ્યા સાથે સરખાવવાની જરૂર છે.



ગુજરાતમાં આજે કોરોનાના 1020 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 25 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2534 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,811 એક્ટિવ કેસ છે, જ્યારે 48,359 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 65,704 પર પહોંચી છે, જ્યારે 14,811 એક્ટિવ કેસ છે.