Ahmedabad : ગુજરાત હાઇકોર્ટે ભરતી પ્રક્રિયામાં અનામત અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે કોઈ ભરતીમાં  અનામત કેટેગરીના ઉમેદવારે અનામતની છૂટછાટનો લાભ લીધો હોય તો તેને ઓપન કેટેગરીનો લાભ મળી શકે નહીં. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે મેરીટ હોય તો પણ અનામતની છૂટછાટ મેળવ્યા બાદ ઓપન કેટેગરીમાં સમાવિષ્ટ કરવા માટે અનામત કેટેગરીના ઉમેદવારોની રજુઆત ગ્રાહ્ય રાખી શકાય નહીં. 


હાઇકોર્ટે નીચલી અદાલતોમાં આસીટન્ટસની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડી હતી. 100થી વધુ ઉમેદવારોએ આસિસ્ટન્ટની પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયાના સિલેક્ટ લિસ્ટને હાઇકોર્ટમાં પડકાર્યુ હતું. પણ હાઇકોર્ટે આ અરજીને ફગાવી  હતી અને આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. સાથે જ હાઇકોર્ટે આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંક્યા હતા. 


 


આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થવાની  આગાહી


રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર,  આગામી ત્રણ દિવસ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ગગડવાની શકે છે.  આગામી ત્રણ દિવસ સુધી ગરમીમાં આંશિક રાહત મળી રહેશે. જો કે ત્રણ દિવસ બાદ ફરીથી ગરમીનો પારો ઉચકાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
રાજ્યના છ શહેરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજથી ત્રણ દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે.


ભાવનગર સામૂહિક બળાત્કાર કેસમાં કોર્ટનો મોટો ચુકાદો
ભાવનગર શહેરનાં કાળિયાબીડ વિસ્તારમાં સામૂહિક બળાત્કાર કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી કેદમાં રાખવાની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી અવાવરુ જગ્યામાં લઇ જઇ તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. કોર્ટે ત્રણેય દોષિતોને મૃત્યુપર્યંન્ત કેદની સજા સંભળાવી હતી.


આ કેસમાં પોલીસે  24 કલાકમાં ચાર્જશીટ  દાખલ કરી હતી. ભાવનગર કોર્ટે માત્ર 52 દિવસમાં જ ત્રણ આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારતી હતી. મનસુખ ભોપાભાઈ સોલંકી, સંજય છગન ભાઈ મકવાણા, મુસ્તુફા શેખ નામના ત્રણેય દોષિતોને છેલ્લા શ્વાસ સુધી સજા ફટકારવામાં આવી છે.