અમદાવાદઃ તેલંગાણા અને આંધ્ર પ્રદેશમા પડેલા ભારે વરસાદે જોરદાર તબાહી વેરી છે ત્યારે હવે ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ફરી વરસાદ પડશે. IMD ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં એક વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે. અગામી 24 કલાક દરમિયાન વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશમાં પરિવર્તિત થશે. સાયકલોનીક સર્ક્યુલેશન પણ સક્રિય થયું છે. જેને કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. પોર્ટ પર સિગ્નલ નંબર 3 લગાવાયું છે.


હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, શુક્રવારથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.



આ સિવાય ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં પણ હળવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, 16 ઓક્ટોબરે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દિવ અને કચ્છમાં હળવો વરસાદ પડશે.

17 ઓક્ટોબરે પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, દિવમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસશે, જ્યારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. 18 ઓક્ટોબરે સોરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તેમજ કચ્છ અને દિવ, દમણ તથા દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડશે.



19 ઓક્ટોબરે ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે, જ્યારે 20મીએ આણંદ, ભરૂચ, સુરત, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છ પંથકમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ થંડરસ્ટોમની સ્થિતિ રહેશે. દરમિયાન પ્રતિ કલાકે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં રાજુલા તેમજ જાફરાબાદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે રાજુલા અને જાફરાબાદ વિસ્તારના ખેડૂતોને પોતાની જણસ અને ઘાસચારો યોગ્ય રીતે ઢાંકીને રાખવાની તથા સાગરખેડુઓને પણ દરિયો તોફાની બનવાની શક્યતાના પગલે દરિયો ન ખેડવાની તાકીદ કરી છે.

રાજ્યમાં ફરીથી વરસાદી મહોલ સર્જાશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.