અમદાવાદઃ ગુજરાતના 36 શહેરોમાં  તંત્ર દ્વારા કરવામાં આવેલા રાત્રી કરફ્યુ અને બાદમાં મીની લોકડાઉન જેવી પરિસ્થિતિના કારણે નાના વેપારીઓની કમર તૂટી છે. તંત્ર દ્વારા મિની લોકડાઉન 18 મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ દરમિયાન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ 18 મે સુધી નાના વેપારીઓને ધીરજ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કોરોનાની સ્થિતિના આધારે સરકાર નિર્ણય લેશે.


બુધવારે મળેલી કેબિનેટ મીટિંગ રિટેઇલ સેક્ટર સહિત ધંધા-રોજગાર શરૂ કરવા નાના વેપારીઓ, સંગઠનો તરફથી સરકાર સમક્ષ કરવામાં આવેલી માંગણીની પણ ચર્ચા થઈ હતી.  રાજ્યમાં કોરોનાના કેસમાં થયેલા ઘટાડા વચ્ચે ધંધા રોજગારને ફરી ધમધમતાં કરવા ગૃહમંત્રી જાડેજાએ કહ્યું, કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુએ સંપૂર્ણ લોકડાઉન નાંખ્યું છે. રાજ્યમાં વેપાર-ધંધાને અસર ન થાય તે માટે કોવિડ-19ના પ્રોટોકોલના પાલન સાથે જનજીવન રાબેતા મુજબ ચાલુ રહે અને સંક્રમણ અટકે તે માટે જરૂરી નિયંત્રણો સાથે આંશિક લોકડાઉનના સરકારના પ્રયાસો રહ્યો છે.


નાના વેપારીઓની ધંધો શરૂ કરવાની રજૂઆતો અંગે જે-તે જિલ્લાની કોરોનાની સ્થિતિનો સંપૂર્ણ ચિતાર મેળવ્યા બાદ નિર્ણય કરાશે તેમ જણાવી જાડેજાએ ધીરજ રાખવા અપીલ કરી હતી.


રાજ્યમાં શું છે કોરોનોની સ્થિતિ


ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાની રફતાર ધીમે પડી રહી હોઈ નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે અને બુધવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૦૧૭ નવા કેસ નોંધાયા છહતા. જ્યારે મૃત્યુઆંક સતત ઘટી રહ્યો હોઈ છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨ મૃત્યુ નોંધાયા હતા. જો કે બીજી બાજુ હાલ રાજ્યમાં ૮૦૦થી વધુ દર્દી હજુ પણ વેન્ટિલેટર પર છે.


છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાની ગત થોડી મંદ પડી છે.કોરોનાના નવા કેસ ૧૧ હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે.નવા કેસોમાં મોટો વધારો નોંધાતો નથી.જ્યારે રીકવરી રેટ પણ હવે ૮૦ ટકાથી વધુ નોંધાયો છે અને દિવસેને દિવસે નવા કેસ સામે  કોરોનામાંથી સાજા થનારા દર્દીની સંખ્યા વધી રહી છે જ્યારે મૃત્યુ આંક પણ સતત ઘટતા હવે ૧૦૦ની આસપાસ પહોંચી ગયો છે. કોરોનાના કેસ ઘટવા સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે પરંતુ બીજી બાજી વેન્ટિલેટર પરના ગંભીર દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હાલ રાજ્યમાં ૮૦૪ દર્દી વેન્ટિલેટર પર છે અને પ્રથમવાર રાજ્યમાં ૮૦૦થી વધુ દર્દી વેન્ટિલેટર પરના નોંધાયા છે.