ગાંધીનગરઃ અત્યારે તમે ગુજરાતમાં ક્યાંય મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોય, તો આ સમાચાર તમારા માટે છે. મુસાફરીમાં જતાં પહેલા આ સમાચાર વાંચી લેજો નહીંતર મુશ્કેલી પડી શકે છે. રાજ્યમાં વરસાદ અને ખરાબ રસ્તાને કારણે 36 એસટી ટ્રીપ બંધ કરવી પડી છે. તો બીજી તરફ વરસાદને કારણે રાજ્યના 20 રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાં 3 સ્ટેટ હાઈવેનો પણ સમાવેશ થાય છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ, અમરેલી અને પોરબંદર સ્ટેટ હાઈવે બંધ છે. 




ગુજરાત એસટી દ્વારા 6 રૂટ પરની 36 ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. જેમાં જૂનાગઢના 5અને પોરબંદરના એક એસટીના રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ રૂટની 30, પોરબંદર રૂટની 2 અને જામનગર રૂટની 4 બસ બંધ છે. જ્યારે રાજ્યમાં કુલ 20 રસ્તા બંધ છે. જેમાં પોરબંદર સ્ટેટ હાઈવે પણ ભારે વરસાદને કારણે બંધ થયો છે. તો 16 પંચાયત હસ્તકના માર્ગો બંધ છે. 






હવામાન વિભાગે કરી છે આ આગાહી છે કે ભાદરવામાં ભરપૂર વરસાદ વરસશે.  હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ પૂરા ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસશે ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના મતે એક સર્ક્યુલેશન સિસ્ટમ તો સક્રિય થઈ છે. સાથોસાથ એક મોનસૂન ટ્રફ પણ પસાર થઈ રહ્યું છે. જેને લઈ પૂરા ગુજરાતને મળશે સારો વરસાદ.


 


ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં માત્ર 2.57 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ સપ્ટેમ્બરના નવ દિવસમાં જ 4.42 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં હજુ પણ 35 ટકા વરસાદની ઘટ છે. જે ઓગસ્ટના અંતે 50 ટકાની હતી. આમ સપ્ટેમ્બરમાં વરસાદની ઘટમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.


 


જેમાં આજે બનાસકાંઠા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, દાહોદ, ખેડા, પંચમહાલ, ડાંગ, સુરેંદ્રનગર, મોરબી, બોટાદ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ કચ્છમાં, જ્યારે શનિવારે બનાસકાંઠા, દાહોદ, ખેડા, પંચમહાલ, અમદાવાદ, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારેતી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.


 


પાલનપુર વડગામ વરસાદ









 


 


બનાસકાંઠાના પાલનપુર તથા વડગામ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. ગુરૂવારે દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ વરસ્યા બાદ સાંજ થતા વિરામ લીધો હતો. ત્યારે આજે વહેલી સવારથી ફરી ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ છે. ખેડૂતોના પાક માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થશે.


 


અમરેલીમાં ડેમ ઓવરફ્લો


 


અમરેલી જિલ્લામાં છેલ્લા દિવસથી અવિતર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જીલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. ગીરના જંગલ વિસ્તાર અને ધારી પંથકમાં પડેલા વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેથી રુલ લેવલ જાળવવા માટે ડેમનો 1 દરવાજો 2 ઇંચ સુધી ખોલવામાં આવ્યો છે અને હાલ ડેમમાં 133 ક્યુસેક પાણીનો આવક અને જાવક છે.


 


જેથી ધારી,બગસરા,અમરેલી,લીલીયા,સાવરકુંડલા,પાલીતાણા અને ગારીયાધાર તાલુકાના નીચાણવાળા 43 ગામોને એલર્ટ કરાયા. ખોડિયાર ડેમ સંપૂર્ણ ભરાતા હવે પાણીની સમસ્યા જિલ્લામાં હલ થશે.