આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવા વાલીઓએ રજૂઆત કરી હતી કે સુરતની આશરે 20 શાળાઓએ ફીમા 25 ટકાનો ઘટાડો કર્યો છે. કોરોના મહામારીમાં મોટાભાગના વાલીઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. હાલ શાળાઓ સામાન્ય દિવસો કરતા ઓછા ખર્ચમાં તેમનો નિભાવ કરી રહી છે, તેથી તેમણે ફીમાં પણ ઘટાડો કરવો જોઇએ, તેવી રજૂઆત કરી હતી.
આ કેસમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મહત્વના હિતધારકો છે અને કેસના નિર્ણયની સૌથી વધુ અસર તેમના પર થવાની છે. જેથી વાલીઓએ ગઈ કાલે પિટિશન ફાઇલ કરી હતી, પરંતુ ફી મુદ્દે હાઇકોર્ટની સુનાવણી મુલતવી રહી હતી અને આગામી સુનાવણી 18મી સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.
સરકારે હાઇકોર્ટમાં પિટિશન દ્વારા રજૂઆત કરી છે કે કોર્ટના આદેશાનુસાર તેમણે ખાનગી શાળાઓના સંચાલકો સાથે બેઠક કરી હતી. તેમજ તમામ પક્ષોનું હિત સચવાય તે રીતે ફીમાં ઘટાડો કરવાની દરખાસ્ત કરી હતી. જોકે, સંચાલકો સાથેની આ બેઠક અનિર્ણાયક રહી હતી. જેથી ફી મુદ્દે હાઇકોર્ટ કોઇ આદેશ આપે તે જરૂરી છે. આ સોગંધનાના જવાબમાં સ્કૂલોએ સોગંદનામા દ્વારા સ્પષ્ટતા કરી હતી કે ફીમાં ઘટાડો કરવો શક્ય નથી.