અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘ મહેરબાન છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત મેઘમહેર થઈ રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. બંગાળના દરિયા કિનારે લો પ્રેશન સક્રિય થવાથી ગુજરાતમાં સારો વરસાદ પડશે. આગામી 28 અને 29 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ અને કચ્છમા 28 અને 29 જુલાઈના ભારેથી અતિભારે વરસાદ થશે.




અમદાવાદમાં વસ્ત્રાપુર, જજીસ બંગલો, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. પાટનગર ગાંધીનગરમાં પણ લાંબા સમય બાદ વરસાદ આવ્યો છે. વડોદરામાં ઘણા દિવસોના વિરામ અને ભારે ઉકળાટ બાદ વરસાદ આવ્યો છે. શહેરના ન્યૂ વીઆઈપી રોડ, એકોટા, દિનેશ મીલ રોડ, અલકાપુરી, સયાજીગંજમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. રાજકોટમાં પણ વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી.



ગિરિમથક સાપુતારમાં પણ વરસાદ આવતાં વાતાવરણ આહ્લાદક બની ગયું હતું. લોકોએ મન ભરીને વરસાદનો આનંદ માણ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે ડાંગમાં કુદરતી સૌદર્ય સોળ કળાએ ખીલ્યું છે. દાહોદ, છોટા ઉદેપુરમાં વરસાદી માહોલ છે.



જુનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે જૂનાગઢનો આણંદપૂર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ છલકાઈ જવાથી શહેરમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે. તાપી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ સહિતના તાલુકામાં ઝરમર વરસાદ પડી રહ્યો છે.



વલસાડ જિલ્લામાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને લઇને વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. ચિખલી તાલુકામાં સાર્વત્રિક વરસાદથી કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું.