અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકારે કોરોના કર્ફ્યુમાં પણ એક કલાકનો ઘટાડો કર્યો છે. હવે શુક્રવારથી રાજ્યના 36 શહેરોમાં રાતના આઠના બદલે નવ વાગ્યાથી કોરોના કર્ફયુ લાગુ થશે. જો કે કોરોના કર્ફ્યુની મુદ્દતમાં આઠ દિવસનો વધારો કરીને ચાર જુન સુધી લંબાવી દેવામાં આવ્યો છે. જોકે વેપાર ધંધાના ટાઈમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. જેને લઈ વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.


આ અંગે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા દુકાનો ખુલી રાખવાનો સમય વધારવા માંગ કરવામાં આવી છે. જેને લઈ ફેડરેશન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર  લખવામાં આવ્યો છે. જેમાં હાલના 9થી 3ના સમયમાં દુકાનોમાં ભીડ થતી હોવાનું જણાવાયું છે. જેથી દુકાનો ખોલવાનો સમય સવારના 10થી સાંજના 6 કે 7 સુધીનો કરવા માંગણી  કરવામાં આ છે. આ ઉપરાંત પત્રમાં લખવામાં આવ્યા મુજબ દુકાનો 10 વાગે ખુલતી હોવાથી અને બપોરે લંચ ટાઇમના કારણે હાલનો સમય અયોગ્ય છે. હાલના સમયમાં હોલસેલ વેપારમાં ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે તેમ પણ ઉલ્લેખ કર્યો છે.


અમદાવાદ શહેરમાં કોરોનાના દૈનિક કેસમાં બુધવારે 129 કેસનો ઘટાડો થયો છે.બુધવારે શહેરમાં નવા 362 કેસ અને 6 લોકોનાં મોત નોંધાયા છે.3637 લોકોને સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.એકિટવ કેસની સંખ્યા ઘટીને 17434 ઉપર પહોંચી છે. આ અંગે મળતી માહિતી મુજબ,બુધવારે શહેરમાં કોરોનાના નવા 362 કેસ નોંધાતા ગત વર્ષે માર્ચથી અત્યાર સુધીમાં કુલ 2,26,984 કેસ નોંધાવા પામ્યા છે. બુધવારે એક જ દિવસમાં કુલ 3637 લોકોને સાજા થતા અત્યાર સુધીમાં કુલ 2,09610 લોકો કોરોનામુકત થયા છે.બુધવારે કુલ છ લોકોના મોત થતા અત્યાર સુધીમાં કુલ 3221 લોકોના મોત થયા છે.




ગુજરાતમાં કોરોના હવે ધીમો પડી રહ્યો છે અને કેસોમાં ઘટાડો યથાવત્ છે. બુધવારે રાજ્યમાં નવાં ૩૦૮૫ કેસ અને ૩૬ મોત નોંધાયા હતા. જ્યારે ૧૦,૦૦૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારોમાં હાલ ૫૫,૫૪૮ એક્ટિવ કેસ છે, જે પૈકી ૫૯૪ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૫૪,૯૫૪ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ ડિસ્ચાર્જનો આંક ૭,૩૭,૨૪૮ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રસીના ૧,૬૦,૫૦,૦૯૬ ડોઝ આપવામાં આવ્યા છે.