કોરોના સંક્રમણ વધતા 18મી માર્ચથી અમદાવાદમાં AMTS અને BRTS બસની સેવા બંધ કરવામાં આવી હતી. હવે અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટતા આ સેવા ફરી શરૂ થવાની ચર્ચા ચાલી રહી છે. આજકાલમાં આ અંગેનો નિર્ણય AMC લઈ શકે છે. જેના ભાગરૂપે AMTSની બસની સાફસફાઈ કરીને બસને સેનવટાઇઝ કરવામાં આવી રહી છે. તેમજ બસમાં મુસાફરી દરમિયાન લોકો સામાજિક અંતર જાળવે તે માટેના સ્ટીકર પણ લગાડવામાં આવી રહ્યા છે. AMC સિટિબસ સેવા શરૂ કરવાનો આદેશ આપે એટલે તુરંત બસ દોડવા લાગે તે રીતની તૈયારીઓ કરી દેવામાં આવી છે.


દોઢ મહિનાથી અમદાવાદ શહેરમાં AMTS અને BRTS બસના થંભી ગયા છે પૈડા. એવામાં કોરોનાનું સંક્રમણ ઘટતા AMTS-BRTS બસ સેવા ફરી શરૂ થાય તેવી સંભાવના છે. 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે ફરીથી બસ સેવા શરૂ કરાય તેવી સંભાવના છે. દિવસમાં બે વખત બસને સેનેટાઈઝ કરાઈ શકે છે. તો બસની ટ્રીપ પહેલાં ડ્રાઈવર અને કંડક્ટરને થર્મલ સ્ક્રીનિંગ ચકાસણી બાદ જ બંસ હંકારવા સુધીની ગાઈડલાઈન બહાર પડાઈ શકે છે. માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયાથી AMTS અને BRTS બસ બંધ હોવાથી અમદાવાદ મનપાને થઈ રહ્યું છે મોટું આર્થિક નુકસાન.


આ પહેલા સુરતમાં પણ બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી છે. સુરતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં પાલિકાએ તબક્કાવાર રીતે બીઆરટીએસ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા પાંચ રૂટ પર 83 બસો શરૂ કર્યા બાદ હવે બીજા 3 રૂટ પર 60 બસો શરૂ કરવામાં આવી છે. સવારે 6.30 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી આઠ રૂટ પર 143 બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતાં સીટી અને બીઆરટીએસ બસ સેવા 17 માર્ચથી બંધ કરી હતી. પરંતુ હાલ કોરોના કેસો અંકુશમાં આવતા આઠ રૂટ પર 143 બીઆરટીએસ બસ દોડશે. આ નિર્ણયના કારણે સુરતીઓને થોડી રાહત થઈ છે.


ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ હોસ્પિટલમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, જેને કારણે એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો થયો છે.


રાજ્યમાં ગઈકાલે 3,085  નવા કેસ નોંધાયા છે અને 36 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9701  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 10007 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,32,748 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 55548 પર પહોંચ્યો છે. જેમાંથી 594 દર્દી વેન્ટિલેટર પર અને 54954 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.82  ટકા છે.