અમદાવાદ: ‘વાયુ’ વાવાઝોડાને લીધે ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે જેની અસર આજથી જ શરૂ થઈ ગઈ છે. સોમવારે મોડી સાંજથી જ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો છે ત્યારે આ વાવાઝોડાની અસરથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ બુધવાર અને ગુરૂવાર બે દિવસ સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના વેરાવળથી દક્ષિણ-પૂર્વ દિશામાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. અરબી સમુદ્રમાંથી શરૂ થયેલું વાવાઝોડું આગામી સમયમાં કચ્છના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 12 જૂને ‘વાયુ’ વાવાઝોડાના આગમન સાથે અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભુમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં એલર્ટ સાથે સાવધાની રાખવાના સંકેતો આપી દેવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ, બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, આણંદ, ભાવનગર, વડોદરા, રાજકોટ, ભરૂચમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે.

આ સિવાય જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. 13મી જૂને ઉત્તર ગુજરાતમાં સામાન્ય, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.