Helicopter Joyride: અમદાવાદીઓ માટે એક ખુશખબર સામે આવ્યા છે. અમદાવાદમાં ફરી એકવાર હેલિકોપ્ટર સેવા શરુ થશે. 12 ઓગસ્ટ 2023થી ફરી એકવાર હેલિકોપ્ટર જોયરાઈડ શરૂ કરવામાં આવશે. જેમાં એરોટ્રાન્સ કંપની હેલિકોપ્ટર 10 મિનિટ સુધી હવાઈ મુસાફરી કરાવશે. તમને જણાવી દઈએ કે, આ જોયરાઈડ જાન્યુઆરી 2022માં સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થઈ હતી. જે લગભગ 4 મહિના પહેલા બંધ કરી દેવામાં આવી હતી. કંપનીએ હવે તેને ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે.


તો બીજી તરફ, આ સેવા અંગે એરચાર્ટર કંપનીએ કહ્યું કે, અમદાવાદમાં જોયરાઇડ ફરી શરૂ કરવામાં આવશે. એક રાઈડમાં કુલ 5 લોકો બેસી શકશે. જો ભાડાની વાત કરીએ તો એક વ્યક્તિ દીઠ 2100 રુપિયા પ્લસ જીએસટી રહેશે. આ ઉપરાંત 10 મિનિટની જોયરાઇડ સર્વિસ શનિવાર અને રવિવારે તેમજ ચોક્કસ જાહેર રજાઓ પર ઉપલબ્ધ રહેશે. જેમાં 1 દિવસમાં 75 જેટલા મુસાફરો આ સેવાનો લાભ લઈ શકશે. જો રુટ અંગે વાત કરીએ તો, મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાયન્સ સિટીનો રૂટ નક્કી કરવામાં આવશે.


ચંદ્રયાન-3 મિશનમાં ગુજરાતનું છે મોટુ યોગદાન


ચંદ્રયાન ત્રણ મિશન ભારત દેશ માટે ખૂબ જ મહત્વનું મિશન છે. 23 ઓગસ્ટે સાંજે 05:47 કલાકે ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-3 મિશનમાં ગુજરાતના ઈસરો અને ઇન સ્પેસનો પણ મહત્વનો ફાળો છે. ચંદ્રયાન-3 મા લાગેલ કેમેરા,એન્ટેના અને રીમોટ કંટ્રોલનું ગુજરાતમાં  ઉત્પાદન કરાયું છે. અમદાવાદમાં આવેલ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર અને ઇન સ્પેસ સંસ્થાનોનું યોગદાન ચંદ્રયાન-3 મિશનમાં રહેલું છે. 


ગુજરાતના વૈજ્ઞાનિકો અને યુવાઓને ખુબ જ ઉત્સાહ


ચંદ્રયાન-3 ના લેન્ડરને પણ વિક્રમ સારાભાઈના નામ પરથી વિક્રમ નામ અપાયું છે. ચંદ્રયાન પર લેન્ડ થયા બાદ પ્રથમ ચંદ્રના પ્લાઝમા,વાતાવરણનું તાપમાન અને સિસ્મિક ગતિવિધિ અંગે માહિતી મેળવવા લેન્ડર પેયલોડ પરીક્ષણ કરશે. ચંદ્રયાન-3 માં લાગેલ રોવર પેયલોડમાં લાગેલા કેમેરા જગ્યાના ફોટોગ્રાફ્સ લેશે જે ત્યાંની ભૌગોલિક સ્થિતિ અંગે માહિતી આપશે. રોવરના એક્સ રે ના માધ્યમથી ત્યાંની જમીન અંગેની માહિતી જાણવામાં આવશે. ચંદ્રયાન-3 ના લોન્ચિંગથી લેન્ડિંગ સુધીની સફરમાં ગુજરાતના યોગદાનને લઈ ગુજરાતના વૈજ્ઞાનિકો અને યુવાઓને ખુબ જ ઉત્સાહ છે. સમગ્ર દેશના આ મિશનમાં ગુજરાતના યોગદાનથી ગુજરાતના યુવાઓ પણ આગામી સમયમાં સ્પેસ એક્ટિવિટીમાં વધુ માર્ગદર્શન મેળવશે.