Hit And Run Accident: થોડાક સમય પહેલા અમદાવાદમાં બનેલી ચકચારી ઇસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસની ઘટના બાદ વધુ એક હિટ એન્ડ રનની ઘટના અમદાવાદના સિન્ધૂ ભવન રૉડ પરથી સામે આવી છે. ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલ બાદ વધુ એક તથ્ય પટેલ આવ્યો છે. સિન્ધૂ ભવન રૉડ પર આજે એક થાર કાર લઇને નીકળેલો વધુ એક નબીરો પૂરપાટ ગતિએ હંકારી રહ્યો હતો, જેમાં એક બાઇક સવારને તેને કચડી નાંખ્યો હતો, આ ઘટનાને લઇને હવે ફરી એકવાર લોકોમાં રોષ ફેલાયો છે.  


આજે અમદાવાદમાં વધુ એક નબીરો તથ્ય પટેલ સાબિત થયો છે. અમદાવાદના સિંધુભવન રૉડ પર એક નબીરાએ એકનો જીવ લીધો છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં થાર કારથી ટક્કર મારીને એક બાઈક સવારને કચડીને નબીરો ફરાર થઇ ગયો હતો. આ થાર કારે જયદીપ સોલંકીનો જીવ લીધો હતો. ખાસ વાત છે કે, બોપલ ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન જયદીપ સોલંકીનું મોત થઇ ગયુ હતુ. ઘટનામાં GJ-27-ED-0106 રજિસ્ટ્રેશનવાળી કાર જપ્ત કરાઇ છે. કાર ચાલક ફરાર ઘટના બાદ ફરાર થઇ ગયો હતો જોકે, પોલીસે થાર કારને જપ્ત કરી લીધી હતી. 


સિંધુભવન રૉડ રોજ રાત્રે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું છે, અને પોલીસ મૌન રહી રહી છે. અગાઉ પણ સિંધુભવન રૉડ પર અનેક તમાશા થયા છે. સીસીટીવીના નેટવર્કની પોલીસની વાર્તાઓ ફરી પોકળ સાબિત થઇ રહી છે, પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે. ઓવરસ્પીડ ડ્રાઈવ એસજી હાઈવે, એસપી રિંગ રૉડ પરનું દૂષણ બની રહ્યું છે. સિંધુભવન રૉડ પર નશેડીઓની ગેરકાયદે પ્રવૃતિ વારંવાર સામે આવી રહી છે. થાર ચાલક નબીરો પકડાય તો પણ તેનો આલ્કોહોલ ટેસ્ટ નેગેટિવ આવી શકે છે. જોકે, આ સમગ્ર હિટ એન્ડ રનની ઘટના અંગે અમદાવાદ પોલીસ કમિશ્નરે જવાબ આપવો જોઇએ. 


ભારતમાં જ હિટ એન્ડ રનના સૌથી વધુ કેસ કેમ? અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં શું છે કાયદો?


ભારત એવા દેશોમાં સામેલ છે જ્યાં હિટ એન્ડ રનના કેસ સૌથી વધુ છે અને મોત પણ સૌથી વધુ થાય છે. ભારતમાં દર વર્ષે લગભગ સાડા ચાર લાખ માર્ગ અકસ્માત થાય છે, જેમાં દોઢ લાખ લોકોના મોત થાય છે. હિટ એન્ડ રન કેસમાં 25 થી 30 હજાર લોકો જીવ ગુમાવે છે.


હવે સરકારે ભારતીય ન્યાયિક સંહિતા 2023માં હિટ એન્ડ રન કેસમાં કડક નિયમો બનાવ્યા છે. આ કાયદાના વિરોધમાં દેશભરમાં ટ્રક અને બસ ડ્રાઈવરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. દિલ્હી, યુપી, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત તમામ રાજ્યોના ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા હતા.


પહેલા હિટ એન્ડ રનનો અર્થ સમજીએ


'હિટ એન્ડ રન' એ માર્ગ અકસ્માતનો એક પ્રકાર છે જેમાં વાહનથી અન્ય વાહન, વ્યક્તિ અથવા વસ્તુ સાથે અથડાયા પછી ડ્રાઇવર પકડાઈ જવાના ડરથી, રોકાયા વિના અથવા મદદ કરવાનો પ્રયાસ કર્યા વિના ઘટનાસ્થળેથી ભાગી જાય છે.


ઉદાહરણ તરીકે જો કોઈ વાહન કોઈ વ્યક્તિને ટક્કર મારે અથવા કચડી નાખે અને પછી ડ્રાઈવર ઈજાગ્રસ્ત વ્યક્તિને મદદ કર્યા વિના અકસ્માત સ્થળ પરથી ભાગી જાય. આ એક ગુનાહિત મામલો છે. આવી ઘટનાઓને રોકવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. પરંતુ હવે પહેલા કરતા વધુ કડક કાયદો બનાવવામાં આવ્યો છે.


અગાઉના અને અત્યારના હિટ એન્ડ રન કાયદામાં અંતર


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ નવા ફોજદારી ન્યાય બિલને મંજૂરી આપી હતી. આ ત્રણેય બિલો હવે કાયદા બની ગયા છે. ટૂંક સમયમાં આ નવા કાયદા IPCના જૂના કાયદાનું સ્થાન લેશે. તેમાંથી ભારતીય ન્યાયિક સંહિતાની એક જોગવાઈ 'હિટ એન્ડ રન'નો વિરોધ થઈ રહ્યો છે. અગાઉ, જૂના કાયદા મુજબ, હિટ એન્ડ રનના કિસ્સામાં જો બેદરકારીથી વાહન ચલાવવામાં, બેદરકારીને કારણે કોઈનું મૃત્યુ થાય અથવા કોઈના જીવને જોખમમાં મૂકાય તો કલમ 279, 304A, 338 હેઠળ કાર્યવાહી કરવામાં આવતી હતી, જેમાં મહત્તમ સજાની જોગવાઈ બે વર્ષની જેલની હતી. એટલું જ નહીં, આરોપીને તરત જ જામીન પણ મળી જાય છે.


હવે, ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 104(2) હેઠળ હિટ એન્ડ રન કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ બેદરકારી કે બેફામ ડ્રાઈવિંગને કારણે મૃત્યુ પામે છે અને આરોપી ડ્રાઈવર પોલીસને જાણ કર્યા વિના સ્થળ પરથી ફરાર થઈ જાય છે તો તેને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. તમારે 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે. જો આરોપી ડ્રાઈવર અકસ્માત સ્થળ પરથી ભાગી ન જાય તો પણ તેને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. બંને કેસ બિનજામીનપાત્ર છે અને સૌથી મહત્વની વાત એ છે કે આરોપી ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાંથી જામીન મળશે નહીં.


ભારતમાં હિટ એન્ડ રનના કેસ કેમ વધી રહ્યા છે?


જો આપણે કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ડેટા પર નજર કરીએ તો આપણને જાણવા મળશે કે 2021ની સરખામણીમાં 2022માં હિટ એન્ડ રનના 17 ટકા વધુ કેસ નોંધાયા છે. આમાં મૃત્યુઆંક ગયા વર્ષની સરખામણીએ 17 ટકા વધુ છે. ઘાયલોની સંખ્યામાં પણ 20 ટકાનો વધારો થયો છે.


2005થી ભારતમાં દર વર્ષે લગભગ સાડા ચાર લાખ માર્ગ અકસ્માતો થઈ રહ્યા છે. ફક્ત 2020 માં જ્યારે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારે આ આંકડો ચાર લાખની નીચે ગયો હતો. તે સમયે દેશમાં 3 લાખ 72 હજાર 181 અકસ્માતો થયા હતા, જેમાં 1,38,383 લોકોએ જીવ ગુમાવ્યા હતા.


વિરોધ કરી રહેલા ડ્રાઇવરની માંગણીઓ અને દલીલો


કાયદામાં કરાયેલી નવી જોગવાઈ સામે દેશભરના વાહનચાલકો વિરોધ કરી છે.  ઓલ ઈન્ડિયા ટ્રક ડ્રાઈવર્સ ઓર્ગેનાઈઝેશને હડતાળની જાહેરાત કરી હતી. જોકે હાલમાં કેન્દ્ર સરકાર સાથેની વાતચીત બાદ હડતાળ પરત ખેંચી લીધી છે. તેમની માંગ છે કે જ્યાં સુધી સરકાર હિટ એન્ડ રનનો નવો કાયદો પાછો નહીં ખેંચે ત્યાં સુધી તેમની હડતાળ ચાલુ રહેશે. ત્યાં સુધી તે બસ કે ટ્રક નહીં ચલાવે. ઘણા રાજ્યોમાં પરિવહન વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટના વેપારીઓ પણ ટ્રાન્સપોર્ટના નવા નિયમોનો વિરોધ કરી રહ્યા છે.


કાયદાની નવી જોગવાઈ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિરોધીઓની અલગ-અલગ દલીલો છે. તે કહે છે કે જો તેને પાંચ કે દસ વર્ષની જેલમાં નાખવામાં આવશે તો તેના પરિવારનું શું થશે. માર્ગ અકસ્માત પછી સ્થળ પરથી ભાગી જવાના આરોપ પર વિરોધ કરી રહેલા ડ્રાઇવરની દલીલ છે કે જો તે અકસ્માત સ્થળ પરથી ભાગી નહીં જાય, તો ટોળું તેના પર હુમલો કરશે અને તેને મારી પણ શકે છે. ઘણીવાર રોડ અકસ્માત બાદ ભીડ ઉગ્ર બની જાય છે.


કેટલાક વિરોધ કરી રહેલા ડ્રાઇવરો એવો પણ દાવો કરે છે કે સરકારે વિદેશ જેમ 'હિટ એન્ડ રન' કેસમાં કડક જોગવાઈઓ કરી છે, પરંતુ તે પહેલા સરકારે વિદેશની જેમ ભારતમાં પણ સારા રોડ અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.


અમેરિકા અને જાપાન જેવા વિકસિત દેશોમાં શું કાયદો છે?


હિટ એન્ડ રનના કિસ્સા અમેરિકા અને જાપાન જેવા વિકસિત દેશોમાં પણ બને છે. અમેરિકન લૉ ફર્મ justiaના એક લેખ મુજબ, માર્ગ અકસ્માત પછી કોઈપણ સંજોગોમાં અકસ્માત સ્થળ છોડીને જવું એ અમેરિકામાં ગુનો છે. અહીં અલગ-અલગ રાજ્યોના કાયદા અલગ-અલગ છે. પોલીસને જાણ કર્યા વિના અકસ્માતનું સ્થળ છોડવાથી લાયસન્સ રદ, જેલની સજા અને 20,000 ડોલર સુધીનો દંડ થઈ શકે છે.


NHTSA મુજબ, 2012 થી 2021 સુધીમાં યુએસમાં જીવલેણ હિટ-એન્ડ-રન કેસમાં 89.4 ટકાનો વધારો થયો છે. કેસ 2012માં 1469થી 89.4 ટકા વધીને 2021માં 2783 થયા. જોકે, અમેરિકામાં હિટ એન્ડ રનના કારણે મૃત્યુની સંખ્યા ઘણી ઓછી છે. વર્ષ 2016માં સૌથી વધુ મૃત્યુઆંક 2049 હતો. જો કે, જો આપણે અહીં નાના-મોટા હિટ એન્ડ રનના તમામ કેસોને જોઈએ તો આ આંકડો ભારત કરતા ઘણો વધારે છે. દર વર્ષે સરેરાશ સાત લાખથી વધુ કેસ નોંધાય છે.


જાપાનમાં રોડ ટ્રાફિક એક્ટ મુજબ, જો કોઈ કાર ચાલક રસ્તા પર કોઈ વ્યક્તિને ટક્કર મારે છે અને તે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થાય છે અથવા મૃત્યુ પામે છે, તો આરોપીને વધુમાં વધુ 7 વર્ષની જેલની સજા થઈ શકે છે અથવા 1 મિલિયન યેન સુધીનો દંડ થઈ શકે છે. જો કે, જો અન્ય વ્યક્તિને ગંભીર ઈજા ન થઈ હોય તો કોઈને સજામાંથી મુક્તિ મળી શકે છે. અમેરિકા, જર્મની અને ફ્રાન્સની સરખામણીએ જાપાનમાં રોડ અકસ્માતો બહુ ઓછા છે. અહીં વર્ષ 2020માં માત્ર 3416 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.


અમેરિકા, જાપાન, નોર્વે, સ્વીડન જેવા વિકસિત દેશોની સરખામણીમાં ભારત ઘણું પાછળ છે. અહીં હિંટ એન્ડ રનના કારણે મૃત્યુની સંખ્યા ઘણી વધારે છે. નિષ્ણાંતોના મતે ભારતમાં હિટ એન્ડ રનના મોટાભાગના કેસમાં મુખ્ય કારણ છે બેદરકારી અને બેજવાબદાર વર્તન છે. મોટાભાગના લોકો રસ્તાના નિયમોનું પાલન કરતા નથી. જેમ કે સીટ બેલ્ટ પહેરવો, ઓવરસ્પીડિંગ અને નશામાં ડ્રાઇવિંગ.