અમદાવાદ : અમદાવાદમાં ખાનગી ડૉક્ટરોની ભલામણ પર હવે કોરોના વાયરસનો ટેસ્ટ થઈ શકશે. કોરોનાનો ટેસ્ટ હવે ખાનગી એમડી અથવા તેનાથી વધારે ડિગ્રી ધરાવતા ડૉક્ટરો સીધો જ કરાવી શકશે.


રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે હવે અમદાવાદમાં એમડી અને તેનાથી ઉપરની ડિગ્રી ધરાવતા સ્પેશયાલિસ્ટ ડૉક્ટરની ભલામણના આધારે ખાનગી લેબમાં કોરોનાના ટેસ્ટ થઈ શકશે.

કોરોના વાયરસની સારવારમાં નિયત કરતા વધારે દર વસૂલનાર ખાનગી હોસ્પિટલની ખેર નથી. નક્કી કરાયેલા ચાર્જથી વધારે રૂપિયા વસૂલનાર ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાની નીતિન પટેલે ચેતવણી આપી છે. નીતિન પટેલે કહ્યુ કે મારી ઓફિસમાં વધારાના ચાર્જ મુદ્દે લેખિતમાં ફરિયાદ આવશે તો એકપણ ખાનગી હોસ્પિટલને છોડવામાં આવશે નહીં. આ સાથે જ કહ્યુ કે કોરોનાના દર્દીઓ પાસેથી વધારે ફી વસૂલતી હોસ્પિટલને સીલ કરવા સુધીની સત્તા રાજ્ય સરકાર પાસે છે.

રાજ્યમાં લોકડાઉન વધારવાની ચર્ચાને નીતિન પટેલે અફવા ગણાવી છે. નીતિન પટેલે કહ્યુ કે અમૂક લોકો લોકડાઉન વધારવા અંગે અફવા ફેલાવી રહ્યા છે. રાજ્ય સરકારે લોકડાઉન લંબાવવા અંગે કોઈ નિર્ણય કર્યો નથી.