અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના પ્રકોપ યથાવત છે. એક દિવસમાં સારવાર દરમ્યાન 26 દર્દીઓના કરૂણ મૃત્યુ થયાં છે. જ્યારે 343 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ થયા છે અથવા ઘેરબેઠાં સારવાર લેવાનું શરૂ કર્યું છે.


આ સાથે ગ્રામ્ય વિસ્તાર સાથે કુલ મૃત્યુનો આંકડો 1092ને આંબી ગયો છે, જ્યારે દર્દીઓની કુલ સંખ્યા 15305ની થઇ ગઇ છે. જ્યારે કોરોનાને મ્હાત આપીને સાજા થયેલાં 266 દર્દીઓને જુદી જુદી હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.

અમદાવાદમાં સતત 10 દિવસથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છઠ્ઠી વખત દૈનિક ધોરણે 300થી વધારે કેસ નોંધાયા છે.

બીજી તરફ પશ્ચિમ અને નવા પશ્ચિમના સમૃધ્ધ વિસ્તારમાં સંક્રમણ બહુ જ ઝડપથી વધી રહ્યું છે. આગળના દિવસે 70 અને ગઇકાલે 61 દર્દીઓ નોંધાયા છે. નારણપુરા બાદ સૌથી વધુ દર્દી સાબરમતિમાં 16 અને નવરંગપુરામાં 14 હોવાનું જણાયું છે.

પાલડી-વાસણામાં 12 જ્યારે સ્ટેડિયમ-નારણપુરામાં 10ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે નવા પશ્ચિમ ઝોનમાં 60 દર્દી હોવાનું જણાયું છે. વેજલપુરમાં 14, સેટેલાઇટમાં 10, ગોતા-ચાંદલોડિયામાં 16, બોડકદેવ-થલતેજમાં 9 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 59 દર્દીઓ સાથે ઉત્તેર ઝોનની આગેકૂચ પણ ચાલુ રહેવા પામી છે. છેલ્લા 3 દિવસના મૃત્યુમાં સૌથી વધુ 28ના આંક સાથે ઉત્તરઝઓન આગળ રહ્યો છે.

હાલ છેલ્લા 9 દિવસથી રોજ સરેરાશ 310 દર્દી અને 25 મૃત્યુ નોંધાય છે. હજુ તેમાં બહુ મોટો વધારો થવાની ભીતિ છે. એકટિવ દર્દીઓ 3049 જ છે, તો ગંભીર દર્દી માટે આઈસીયુ બેડ શોધતાં તકલીફ કેમ પડે છે, તે તમામ બાબતો  'ઓનલાઇન' મૂકાઇ તો જ 'સ્માર્ટ સિટી'ના છોગાનો અર્થ છે.