અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમ ગાર્ડનું પણ મોત થયું હતું. જ્યારે 15થી 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. તે દરમિયાન રાજપથ ક્લબ તરફથી આવી રહેલી જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બ્રિજ પર  લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘટનાને પગલે પોલીસે ઇસ્કોન બ્રિજ બંધ કરાવ્યો હતો. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકોનો સમાવેશ થાય છે.






મૃતકોમાં મોટાભાગના પીજીમાં રહેતા યુવકો હતો. જગુઆર કાર ચલાવનાર વ્યક્તિનું નામ તથ્ય પટેલ છે. સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, એસીપી જી.એસ શ્યાન, ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પીઆઇ અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.


મળતી જાણકારી અનુસાર, શહેર ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતાં ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર કાર ઘૂસી જતા મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. પરંતુ તે સમયે 180ની સ્પીડમાં આવી રહેલી જગુઆર કારે લોકોને કચડ્યા હતા. જેમાં કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત હતા. જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોના મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર જગુઆર ચાલકને સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે જગુઆર કારમાં બે યુવકો અને એક યુવતી પણ હતા. જેઓને પણ ઇજા પહોચી હતી. અકસ્માત બાદ ટોળાએ જગુઆર કારને પાઠ ભણાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક લોકો તેને બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યારે કારમાં બેઠેલી યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી.                


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial