અમદાવાદમાં કોરોના સંક્રમણ હવે કાબૂ બહાર બન્યું છે. ગુરૂવારે ૨૪ કલાકમાં વિક્રમજનક 5142 કેસ નોંધાયા તો 23 લોકોના મોત થયા છે. શહેરમાં ગત વર્ષની જેમ કોરોના સંક્રમણની પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. દર કલાકે 200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 16 હજાર 288 પર પહોંચી ગઈ છે. આ તરફ સરકારી ઓફિસમાં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે.


છેલ્લા 15 દિવસમાં પાસપોર્ટ ઓફિસના 24થી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે. જ્યારે એક આસિસ્ટન્ટ પાસપોર્ટ ઓફિસર વિજય ખરાતનું કોરોનાથી નિધન થયું છે. કોરોનાના વધતા જતાં કહેરને પગલે અને સંક્રમણને વધતું અટકાવવાના ભાગરૂપે રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ-અમદાવાદ હેઠળના તમામ પાસપોર્ટ સેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં સામાન્ય દિવસોની સરખામણીએ જારી કરવામાં આવેલી એપોઇન્ટમેન્ટની સંખ્યા 50% કરવાનો નિર્ણય લેવાયો છે.


અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને લઈ ભયાવહ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે. કોરોનાના દર્દીઓને દાખલ થવા માટે હોસ્પિટલમાં બેડ મળતા નથી. હોસ્પિટલોમાં ઓકિસજનની કમી જોવા મળે છે. દર્દીને દાખલ કરવામાં આવે છે તો રેમડેસિવિર ઈન્જેકશન મળતા નથી. વધતા સંક્રમણ વચ્ચે શહેરમાં વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ પ્રશાસન તરફથી કાર્યરત કરવામાં આવેલા રસીકરણ કેન્દ્રો ઉપરથી ગુરૂવારે કુલ 14 હજાર 721 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી. સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે વિવિધ વિસ્તારના વધુ 18 સ્થળને માઈક્રો કંટેઈનમેંટ ઝોન હેઠળ મૂકાયા છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5877 પર પહોંચી ગયો છે.  


રાજ્યમાં આજે 5,010 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,55,875 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 92 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92084 પર પહોંચ્યો છે. જેમાંથી 376 લોકો વેન્ટિલેટર પર અને 91708 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.41 ટકા છે.