અમદાવાદની સાબરમતિ જેલમાં કોરોના વિસ્ફોટ કેદીઓના કોર્ટ જાપ્તા બંધ કરી દેવાયા છે. એક જ દિવસમાં 29 કેદીને કોરોના થયો છે. અત્યારે હાલ કુલ 54 કેદી, 12 કર્મચારી સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલ જગ્યા ન હોવાથી કેદીઓને સમરસ હોસ્ટેલમાં સારવાર માટે ખસેડાયા છે. કેદીઓને જેલમાંથી બહાર કાઢવામાં આવતા હોવાથી કોરોના વકરતો હોવાના તથ્યો વચ્ચે ફરી વખત કોર્ટ કાર્રવાઈ માટે કેદીઓને બહાર કાઢવાનું બંધ કરવામાં આવ્યું છે.


આમ પણ સાબરમતિ જેલમાં આવતા કેદીને કોરોના ટેસ્ટિંગ દરમિયાન જ પ્રવેશ અપાય છે. આ પ્રવેશ દરમિયાન એક જ દિવસમાં બહારથી આવનારા 29 કેદીને કોરોના જણાયો છે. સાબરમતિ જેલ (Sabarmati Jail)માં સિનિયર જેલર પ્રજાપતિ સહિત કુલ 12 કર્મચારી કોરોના ગ્રસ્ત થયા છે. જેલ કર્મચારીઓને સારવાર આપવામાં આવી રહી છે. કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં સાબરમતિ જેલમાં 10 અધિકારી, 120 કર્મચારી, 135 પાકા કામના કેદી અને 160 કાચા કામના કેદી મળી કુલ 425 જેટલા કેદી, કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે.


અમદાવાદ શહેરમાં સોમવારે કોરોના (Coronavirus) એ અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા ૪ હજાર ૨૦૭ કેસ નોંધાયા છે. જ્યારે ૨૩ દર્દીઓના મૃત્યુ થયા છે અને ૧૩ મહિનાના સમય દરમ્યાન કોરોનાના કુલ કેસની સંખ્યા હવે એક લાખના આંકને પણ પાર કરી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 1 લાખ 1 હજાર 694 કેસ નોંધાયા છે. તો સોમવારે ૭૫૧ દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૭૫ હજાર ૧૧૯ લોકો કોરોના મુકત થયા છે.


શહેરમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં વધારો થવાની સાથે એકિટવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે એકિટવ કેસની સંખ્યા વધીને ૨૦ હજાર ૫૬૨ ઉપર પહોંચી છે. કેસ વધતા હૉસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.


ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 116 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.   


રાજ્યમાં ગઈકાલે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15  ટકા છે.