અમદાવાદ: અમદાવાદના સ્ટેડિયમ વોર્ડમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આવેલી હોસ્પિટલમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ત્યારે આ ઘટનામાં કોરોના કેર સેન્ટરની આગ પછીના અંદરના દ્રશ્યો સામે આવ્યા છે.



સૂત્રા પાસેથી મળી વિગતો પ્રમાણે ફાયર સેફ્ટીનું NOC ચાર મહિના પહેલા એક્સપાયર થઈ ગયું હતું. જોકે, હોસ્પિટલ સંચાલકે ફાયર NOC હોવાનો દાવો એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કર્યો હતો. સૂત્રો પાસેથી એવી પણ વિગતો મળી રહી છે કે, હોસ્પિટલ દ્વારા ફાયર NOC માટે અરજી પણ કરવામાં આવી નથી. હાલ, આ આખી ઘટનામાં શ્રેય હોસ્પિટલના ચાર ટ્રસ્ટીઓમાંથી એકને પૂછપરછ માટે બોલાવાયા છે. પોલીસ પૂછપરછ પછી વધુ વિગતો સામે આવશે.



મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.  તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇએએસ અધિકારી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ  મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે. મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની  તલસ્પર્શી  તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા  સૂચનાઓ પણ આપી છે.