AHMEDABAD : અમદાવાદમાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો રોડ શો યોજાયો. નિકોલથી અરવિંદ કેજરીવાલનો રોડ શો શરૂ થયો. આ અંગે આમ આદમી પાર્ટીએ લખ્યું, “ગુજરાતમાં બદલાવનો શંખનાદ”. આ સાથે જ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલના રોડ શોમાં સમગ્ર ગુજરાતમાંથી આપ કાર્યકરો ઉમટી પડ્યાં છે. આ દરમિયાન રોડશો પહેલા જીતુ વાઘાણીએ કેજરીવાલને ને ટોણો માર્યો છે, જે બાદ આમ આદમી પાર્ટી ભડકી છે. 


કેજરીવાલ મોટા શહેરના મેયર : જીતુ વાઘાણી 
અરવિંદ કેજરીવાલના રોડશો અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે. જીતુ વાઘાણીઆ એ કહ્યું કે ગુજરાત દરેક અતિથીને આવકારે છે.ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને પ્રેમ આપશે એ નક્કી છે. પ્રવસીઓ ગુજરાત આવે અને જાય છે. એક મોટા શહેરના મેયર હતા જે ગુજરાત આવ્યા છે.


નિમ્નકક્ષાની રાજનતી કરી રહ્યા છે : ઈસુદાન ગઢવી
જીતુ વાઘાણીના નિવેદન અંગે આપ નેતા ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જીતુ વાઘાણીએ મંત્રી કક્ષાના છે ત્યારે તેમનું નિવેદન નિમ્નકક્ષાનું છે. જીતુ વાઘાણી નિમ્નકક્ષાની રાજનતી કરી રહ્યા છે.  માણસ દરેકે  પોતાનું સન્માન જાળવવું જોઈએ અને બીજાનું પણ સન્માન જાળવવું જોઈએ. કોઈને ઉતારી પાડવું તે ગુજરાતની સંસ્કૃતિ નથી. આ માત્ર અરવિંદ કેજરીવાલનું અપમાન નહીં પણ ગુજરાતની જનતાનું અપમાન છે. 


ભાજપનો અહંકાર બોલે છે : ગોપાલ ઈટાલીયા
જીતુ વાઘાણીના નિવેદન અંગે આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે ઘણા વર્ષોથી સત્તામાં રહેનાર ભાજપનો અહંકાર બોલે છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા છે તો તેમનું ખેલદીલીથી સ્વાગત કરવું જોઈએ તેના બદલે અપમાન કરે છે. આ સત્તાના નશામાં ધુત થયેલ મંત્રી જીતુ વાઘાણી બોલે છે. ગોપાલ ઈટાલીયાએ કહ્યું મુખ્યમંત્રી મુખ્યમંત્રી કક્ષાના જ હોય છે આટલી સાદી સમજણ ગુજરાતના ભાજપના નેતાઓએ કેળવવાની જરુર છે. દિલ્હીના મુખ્યમંત્રીને ઉતારી પાડવાથી ગુજરાતની ભાજપની સરકાર પોતાની નિષ્ફળતા ધોઈ નહીં શકે.