Kankaria Carnival: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ દરમ્યાન કાંકરિયા કાર્નિવલ-૨૦૨૩નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મેયર પ્રતિભા જૈન, ડે. મેયર જતીન પટેલ, સ્ટે. કમિટી ચેરમેન દેવાંગ દાણી, નેતા મ્યુનિ. શાસક પક્ષ ગૌરાંગ પ્રજાપતિ અને દંડક મ્યુનિ. શાસક પક્ષ શિતલ ડાગા એક સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપી હતી.


ઉત્સવ પ્રેમી અમદાવાદીઓ માટે વર્ષ ૨૦૦૮થી ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના જન્મદિન નિમિત્તે આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ થયેલ કાંકરીયા તળાવ ખાતે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે.


આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ ૨૦૨૩માં પ્રથમ દિવસે “વસુધૈવ કુટમ્બકમ્ - એક ધરતી - એક પરિવાર - એક ભવિષ્ય“ થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે. જેમાં, યુનેસ્કો દ્વારા સન્માનીત ગુજરાતના હેરીટેજ ગરબા, રાજસ્થાનના ઘુમ્મર, પંજાબના ભાંગડા, આસામના બીહુ, મહારાષ્ટ્રની લાવણી, કથકલી, ક્લાસિકલ તેમજ અન્ય દેશોના ડાન્સ ફોર્મ રજુ કરવામાં આવશે. ઉપરાંત, કાંકરીયા કાર્નિવલ દરમ્યાન નગરજનોના મનોરંજન માટે વિવિધ દિવસો દરમ્યાન, કિર્તીદાન ગઢવી, પાર્થ ઓઝા, દિવ્યા ચૌધરી, અરુણ દેવ યાદવ, મિરાંદે શાહ, બંકિમ પાઠક, શાહુબદ્દીન રાઠોડ, જીતુભાઈ દ્વારકાવાળા, સુખદેવ ધામેલીયા, રવિન્દ્ર જોની જેવા વિખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરો, હિન્દી-ગુજરાતી પ્લેબેક સંગીત, સુફી ગઝલ, લોકગીત-સંગીત, બોલીવુડ ગીતો, હાસ્ય દરબાર સહિતનો વૈવિદ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે.


નગરજનો કાંકરિયા કાર્નિવલ ૨૦૨૩ દરમ્યાન કાંકરિયા પરિસરમાં આવેલ વિવિધ આકર્ષણો જેવા કે, કિડઝ સિટી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝુ, બાલવાટિકા, બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, મ્યુઝિકલ ફાઉન્ટેઈન, હોરર હાઉસ, ગેમિંગ ઝોન, ફન ઝોન, પ્લેનેટોરીમ, એડવેન્ચર ટ્રી વોક, ફ્લોટીંગ રેસ્ટોરંટ, ફીશ એક્વેરિયમની મજા માણી શકશે. કાંકરીયા કાર્નિવલ ૨૦૨૩ના સમાપન દિવસે વાયબ્રન્ટ કલર્સ ઓફ ઈન્ડિયા થીમ આધારીત કાર્યક્રમ હેઠળ ભારતના જુદા જુદા રાજ્યોના વિવિધ ડાન્સ ફોર્મ મારફતે વિવિધતામાં એકતા દર્શન કરાવવામાં આવશે.


કાંકરિયા કાર્નિવલ ૨૦૨૩ની ખાસ વાતો


• લોક ડાયરો, બોલીવુડ ફ્યુઝન, દિવ્યાંગ બાળક દ્વારા ગીત, ખાનગી સ્કુલના બાળકો દ્વારા ડાન્સ પર્ફોર્મન્સ, શીવ તાંડવ, સિનિયર સિટીઝન દ્વારા દેશભક્તિના ગીતો, નૃત્ય નાટીકા, સિંધી નાટક, સુફી ગઝલ તેમજ સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.
* જુદા જુદા કલ્ચરલ ગ્રુપ દ્વારા રોક બેન્ડ પર્ફોર્મન્સ, ઈન્સ્ટ્રુમેન્ટલ પર્ફોમન્સ, લાઈવ માઉથ ઓર્ગન, શાસ્ત્રીય ગાયન સાથે સમુહ તબલા વાદન, ગરબા, ભારતનાટ્યમ, કુચીપુડી નૃત્ય, દશાવતાર. 


થીમ આધારીત નૃત્ય નાટિકા, બોલીવુડ ડાન્સ કાર્યક્રમ, કરાઓકે સિંગીંગ જેવા મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટલ કાર્યક્રમો તેમજ જાદુગર શોનું આયોજન કરવામાં આવેલ છે.


• નાના બાળકો સાહસિક બને અને તેઓની સાહસવૃત્તિમાં વધારો થાય અને તેમને મનોરંજન પણ મળી રહે તેવી મંકી બ્રીજ, ટાયર ટનલ, ટાયર ચિમની, ટાયર જંપ, ટનલ વોકિંગ, હેંગીંગ બ્રીજ, સર્કલ ટાયર જંપ જેવી પ્રવૃત્તિઓ ધરાવતી બાળનગરી ઉભી કરવામાં આવેલ છે. જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રવૃત્તિઓની મજા માણી શકશે.


• કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવનાર લોકોના આકર્ષણરુપે દરરોજ કાર્યક્રમના અંતે “વિકસિત ભારત સંકલ્પ" થીમ આધારીત લેસર શોનું આયોજન કરવામાં આવેલ છે.


• ઉપરાંત, નગરજનો દરરોજ યોગા, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે.


• ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું ખાસ આયોજન કરવામાં આવશે.


+ શહેરની વિવિધ શાળાઓ દ્વારા બેન્ડ નિદર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે.


• વિવિધ થીમ આધારિત રંગ બેરંગી લાઇટીંગ તથા મલ્ટી કલર લેસર દ્વારા આગવું એમ્બિયન્સ ઉભું કરવામાં આવનાર છે.


• હેરીટેજ અમદાવાદ અને વિકસિત ભારતની થીમ પર વર્ચ્યુઅલ રીયાલીટી શો પણ કરવામાં આવનાર છે.


• કાંકરીયા ખાતે ચંદ્રયાન-3 અને ધનુષ થીમ આધારીત પ્રવેશ દ્વાર તેમજ કાંકરીયા પરિસરમાં જુદી જુદી જગ્યાઓએ ચંદ્રયાન-3 અને મારુ શહેર મારુ ગૌરવ થીમ આધારીત સેલ્ફી પોઈન્ટ મુકવામાં આવશે.


• લાઈવ કેરેક્ટર્સ મુલાકાતીઓનું મનોરંજન કરશે અને ખાસ નાના બાળકો તેઓની સાથે ફોટો પડાવવાની મજા માણી શકશે.


•ડીફરન્ટલી એબલ્ડ બાળકો દ્વારા ટ્રાયસિકલ રેલી કરવામાં આવશે.


• કાર્નિવલ દરમ્યાન સાતેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.


•કાંકરિયા કાર્નિવલ દરમ્યાન ફુડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે.


•કાંકરિયા પરિસરમાં જુદા-જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા.


• વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવેલ છે.


• સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર સી.સી.ટી.વી. કેમેરા, કંટ્રોલ રૂમ, જરૂરી પોલીસ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ સુસજ્જ રાખવામાં આવેલ છે.


કાંકરીયા કાર્નિવલ ૨૦૨૩માં તા. ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન મુલાકાતીઓને વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવશે. તેમજ, મુખ્યમંત્રીના વરદ્હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના સર્વાગિ વિકાસ માટે હાથ ધરવામાં આવેલ અંદાજિત રૂ. ૧૫૪.૨૧ કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.