અમદાવાદ:આપણા સમાજ અને દેશ સાથે નિસબત ધરાવતા વિવિધ વિષયો પર રસપ્રદ અને માર્મિક સંવાદો અને વાર્તાલાપો માટે વિવિધ મંચોનું સર્જન કરવાના પોતાના નિરંતર પ્રયાસોમાં કર્ણાવતી યુનિવર્સિટીએ વધુ એક હરણફાળ ભરી છે. ફિલ્મો અને સાહિત્યના ક્ષેત્રમાં ડુબકી લગાવવા માટે કર્ણાવતી લિટ્રેચર એન્ડ ફિલ્મ ફેસ્ટિવલ 2023 (કેએલએફએફ)નું 9 ફેબ્રુઆરીના રોજ યુનિવર્સિટીની ભવ્ય કેમ્પસમાં ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. કર્ણાવતી યુનિવર્સિટી એ રાજ્યની એક ખાનગી યુનિવર્સિટી છે, જે શિક્ષણમાં શ્રેષ્ઠતા અને ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ પર કેન્દ્રીત છે.


કર્ણાવતી લિટ્રેચર એન્ડ ફિલ્મ ફેસ્ટિવલ એ એક ઉત્સવી પહેલ છે, જેનો ઉદ્દેશ્ય આશ્ચર્યજનક સર્જનાત્મક મુલાકાતો દ્વારા સાહિત્ય, ફિલ્મ, રંગભૂમિ, લોકકલા અને સંસ્કૃતિના જેવા ક્ષેત્રોના ફલકને વિસ્તારવાનો છે. આ ફેસ્ટિવલમાં વક્તાઓના જકડી રાખનારા સત્રો, સંવાદાત્મક પેનલ ચર્ચાઓ, કાર્યશાળાઓ અને અનેકવિધ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવશે.


ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવાના તેના નિરંતર પ્રયાસોમાં કર્ણાવતી યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં યૂથ પાર્લિયામેન્ટ અને અમદાવાદ ડીઝાઇન વીકની ભવ્ય સફળતાનો સ્વાદ ચાખી લીધો છે, જેનું આયોજન છેલ્લાં કેટલાક વર્ષોથી કરવામાં આવી રહ્યું છે, જેમાં ઠેર-ઠેરથી લોકોએ ભાગ લીધો હતો.


કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, ‘કર્ણાવતી યુનિવર્સિટીમાં અમારો એવો નિરંતર પ્રયત્ન રહ્યો છે કે, વિવિધ વિષયો પર અર્થપૂર્ણ વાર્તાલાપો અને સંવાદો માટે વિવિધ પ્રકારના પ્લેટફૉર્મની રચના કરવામાં આવે. આપણે દિવસેને દિવસે સોશિયલ મીડિયા અને માહિતીની ભરમારના યુગમાં સતત પરિવર્તનશીલ વિશ્વને અપનાવી રહ્યાં છે અને તેમાં સંલગ્ન થઈ રહ્યાં છીએ, જેમાં એકાગ્રતા દિવસને દિવસે ઘટી રહી છે, ત્યારે કેએલએફએફ એ વાર્તાકારો, લેખકો અને ઓરિજિનલ કન્ટેન્ટ રચયિતાઓના દ્રષ્ટિકોણો અને વિચારોને પરત લાવવાનો એક પ્રયત્ન છે, જેઓ આપણા રોજિંદા જીવન અથવા આપણી આસપાસની દુનિયામાંથી અને એટલું જ નહીં વૈકલ્પિક વાસ્તવિકતાઓમાંથી વાર્તાઓને શોધવા અને કહેવા માટે સતત રચનાત્મક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહે છે.’


શ્રી રિતેશ હાડાએ આગળ જણાવ્યું હતું કે, ‘કેએલએફએફ એ સંવાદની રચના કરવાનો, વિચારો, આઇડીયાને મુક્તપણે રજૂ કરવાનો અને ચર્ચાવિચારણા કરવાનો કર્ણાવતી યુનિવર્સિટીનો વધુ એક પ્રયત્ન છે, કારણ કે અમે ફિલ્મો અને સાહિત્યના વિશ્વને ખૂબ જ બિરદાવીએ છીએ, જે આપણા આજના વિશ્વનો આયનો છે.’


કેલેએફએફમાં કેટલાક શાનદાર પર્ફોર્મન્સ પણ જોવા મળશે. આ કાર્યક્રમના સહભાગીઓ અને દર્શકો 9, 10 અને 11 ફેબ્રુઆરીના રોજ અનુક્રમે માટી બાની, ગઝલર અને વિશાલ શેખરના જાદુઈ સંગીતને માણી શકશે તથા હર્ષ ગુજરાલની સ્ટેન્ડ-અપ કૉમેડી સૌને પેટ પકડીને હસાવશે.


અનફૉર્ગિવન (વર્ષ 1992) અને તાજેતરમાં રીલીઝ થયેલી - અવતાર - ધી વે ઑફ વૉટર (વર્ષ 2022)માં પોતાના અદભૂત કામ માટે જાણીતા ખ્યાતનામ અમેરિકન એક્ઝિક્યુટિવ ફિલ્મ પ્રોડ્યૂસર ડેવિડ વાલ્ડેસ, વર્ષ 1996માં આવેલી ફિલ્મ - ધી મેકિંગ ઑફ મહાત્મામાં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવનારા ફિલ્મ અને રંગમંચના જાણીતા ભારતીય અભિનેતા અને ડિરેક્ટર રજિત કપૂર આ કાર્યક્રમનો હિસ્સો બનશે.


કેએલએફએફ 2023નો હિસ્સો બનવા જઈ રહેલા અન્ય વક્તાઓમાં ભારતીય અભિનેતા શ્રી કબીર બેદી; ફિલ્મનિર્માતા શ્રી શ્રીરામ રાઘવન; લેખિકા અને ટિંકલ કૉમિક્સના ભૂતપૂર્વ મુખ્ય સંપાદક સુશ્રી રજની થિંડિયાથ; ભારતીય ફિલ્મનિર્માતા, પટકથા લેખક અને અભિનેતા શ્રી વાસન બાલા; ભારતીય અભિનેતા શ્રી પવન મલ્હોત્રા; અભિનેત્રી સુશ્રી અદા શર્મા; જાણીતા ભારતીય ડિરેક્ટર શ્રી અજિતપાલસિંહ; લેખક અને ડિરેક્ટર સુશ્રી રુચી જોશી; ગુજરાત ભાજપના સહ-પ્રવક્તા ડૉ. ઋત્વિજ પટેલ; ગાયિકા અને માટી બાનીના સ્થાપક સુશ્રી નિરાલી કાર્તિક; સ્ક્રિપ્ટરાઇટર શ્રી અંજુમ રજબઅલી; અભિનેત્રી સુશ્રી સ્વસ્તિકા મુખરજી; ભારતીય વોઇસ ઑવર આર્ટિસ્ટ શ્રી વિજય વિક્રમસિંહ; લેખક શ્રી ઋષિકેશ સુલભ; દિગ્દર્શક, લેખક અને નિર્માતા સુશ્રી બરનાલી રૅ શુક્લા; ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અને નિર્માતા શ્રી આનંદ પંડિત; ભારતીય ફિલ્મનિર્માતા સુશ્રી રિમા દાસ; ભારતીય લેખિકા અને બ્લૉગર સુશ્રી પ્રીતિ શીનોય; મ્યુઝિકલ આર્ટિસ્ટ શ્રી નૈષધ પુરાણી; રેડિયો જૉકી, રંગમંચના કલાકાર અને અભિનેત્રી આરજે દેવકી; અભિનેતા શ્રી વિનીત કુમાર; પટકથા લેખિકા સુશ્રી ઊર્મિ જુવેકર અને ભારતીય ફિલ્મ દિગ્દર્શક અને લેખક શ્રી નવદીપસિંહનો સમાવેશ થાય છે.