Ahmedabad: દેશના યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં વિનામુલ્યે તાલીમ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અમલમાં મુકી છે. જેના થકી દેશના યુવાનોને રોજગારી ઉપલબ્ધ થઈ રહી છે. ૧૪ થી ૩૫ વર્ષની વયજૂથના યુવાનો આ મિશન હેઠળ તાલીમ મેળવી શકે છે. જેમાં ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષ માટે તાલીમ માટે નોંધણી કરાવવાની હોય છે. આ કોર્ષ પૂર્ણ કર્યા બાદ તેમને પ્રમાણપત્ર આપવામાં આવે છે. જેના આધારે યુવાનો આ ક્ષેત્રે દેશમાં ગમે ત્યાં સરળતાથી રોજગાર મેળવી શકે છે.


કૌશલ્યા યુનિવર્સિટીની અમદાવાદ ખાતે કાર્યરત ડ્રોન મંત્રા લેબને ડાયરેકટરેટ જનરલ સિવિલ એવીએશન (ડી.જી.સી.એ.), નવી દિલ્હી દ્વારા ડ્રોન ઉત્પાદન માટે ટાઈપ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રકારનું સર્ટિફિકેટ મેળવનાર દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. ડ્રોન મંત્રા લેબ રાયપુર અમદાવાદ ખાતે ૧૦૦ જેટલા ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. ડી.જી.સી.એ. દ્વારા રિમોટ પાયલોટ ટ્રેનિંગ માટે UIN નંબર ધરાવતા ઓછામાં ઓછા બે ડ્રોન હોવા આવશ્યક છે. જે જોતાં હવે યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત આ ડ્રોનનો ઉપયોગ ડ્રોન પાયલોટ તાલીમની સુવિધા રાજ્યના અન્ય જિલ્લાઓમાં વિસ્તારવા માટે કરવામાં આવશે. જેથી આ તાલીમ મેળવવા ઇચ્છુક યુવાનોને ઘરઆંગણે નજીવા દરે તાલીમ ઉપલબ્ધ થઈ શકશે.


કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી દ્વારા રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન કાર્યરત કરવામાં આવશે. જ્યાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને ખાનગી ક્ષેત્રે ડ્રોન પાયલોટ તાલીમ આપવામાં આવશે. ખાનગી ક્ષેત્રે આવી તાલીમ રૂ. ૫૦,૦૦૦ થી ૬૦,૦૦૦માં આપવામાં આવે છે જ્યારે આર.પી.ટી.ઓ. ખાતે માત્ર રૂ. ૧૨૦૦ના નજીવા દરથી ખેડૂત મિત્રોને સાત દિવસની તાલીમ આપવામાં આવશે. 


ખેડૂતોના પાકમાં રાસાયણિક ખાતર તથા દવાના છંટકાવ માટે ડ્રોન ટેક્નોલોજીથી છંટકાવ કરવો તે હાલના સમયમાં કૃષિક્ષેત્રની માંગ છે. હાલની રૂઢિગત પરંપરા મુજબ પંપથી છંટકાવના કારણે ખેડૂતોના સ્વાસ્થ્યને વિપરીત અસર થાય છે. આ ઉપરાંત દવાનો વધુ વ્યય થાય છે જ્યારે ડ્રોનથી છંટકાવ કરવાથી દવા-ખાતરની બચત કરી સમગ્ર ખેતરમાં જરૂરિયાત મુજબની માત્રામાં છંટકાવ થવાથી ખેત ઉત્પાદનમાં પણ વધારો થશે. આમ સમગ્ર રાજ્યમાં  ડ્રોન પાયલોટ ઉપલબ્ધ કરાવી કૃષિ ક્ષેત્ર માટે ક્રાંતિકારી પગલું બની રહેશે. આ અંગે વધુ માહિતી કૌશલ્યા યુનિવર્સિટીની વેબસાઈટ https://kaushalyaskilluniversity.ac.in/gujrati/index.php  પર ઉપલબ્ધ છે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્કિલ ઇન્ડિયા’ના વિઝનને સાર્થક કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં યુવાનોને સમયની માંગ અનુસાર કૌશલ્ય તાલીમ પ્રદાન થાય તેના માટે આયોજનબદ્ધ કામગીરી થઇ રહી છે. ‘કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને ‘સ્કિલ સ્માર્ટ’ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ ૨૦૨૧માં કરવામાં આવી છે. હાલમાં  યુનિવર્સિટી દ્વારા જુદી જુદી ૬ વિદ્યા શાખા મારફતે પ્રમાણપત્ર અભ્યાસક્રમોથી પી.એચ.ડી. કક્ષાના અભ્યાસક્રમો કાર્યરત છે. આ પૈકી સ્કૂલ ઓફ ડ્રોન દ્વારા ડ્રોન ક્ષેત્રની સંપૂર્ણ કુશળતાને આવરી લેતા વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.