અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી અમિત ચાવડાએ રાજીનામું ધરી દીધું છે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં હાઇકમાન્ડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી ભારોભાર નારાજ છે.


આ નારાજગી હાઈકમાન્ડે બંને નેતાને દિલ્હી બોલાવીને વ્યક્ત કરી હતી. તેના પગલે પેટાચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજયની  નૈતિક જવાબદારી સ્વિકારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામુ ધરી દીધુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ચાવડાના રાજીનામાન વાતનો સ્વીકાર કર્યો છે. ચાવડાના  રાજીનામા અંગે 31 ડીસેમ્બર સુધીમાં નિર્ણય લઈ લેવાશે તેમ સાચવે જણાવ્યું છે. ચાવડાના સ્થાને નવા પ્રમુખની પસંદગી પણ ઝડપથી કરી દેવાશે એવો સંકેત તેમણે આપ્યો છે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે હાલમાં અર્જૂન મોઢવાડિયા અને જગદીશ ઠાકોરના નામ ટોપ પર છે. કોંગ્રેસનાં સૂત્રોનું કહેવુ છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનુ એલાન જાન્યુઆરીમાં થઇ શકે છે તે જોતાં હાઇકમાન્ડ વહેલી તકે આ પ્રદેસ પ્રમુખપદે કોઈ નેતાની નિમણૂક કરી શકે છે.