અમદાવાદ: શહેરમાં આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલા ગેસ્ટ્રોસ્કોપી બેરિયાટીક પ્રોસિજર્સ (GBP) વર્કશોપમાં 600થી પણ વધુ ડોક્ટરોએ જીવંત સર્જરીને નિહાળી હતી. સ્થૂળતાનાં નિયંત્રણ માટે નાવિન્યપૂર્ણ પધ્ધતિ વિકસાવનારા સ્પેનના માડ્રીડ સ્થિત પ્રો. ગોન્ટ્રાન્ડ લોપેઝ-નાવા આજે શહેરમાં ઉપસ્થિત રહ્યા હતાં. ડો. લોપેઝ-નાવા અને તેમની ટીમ દ્વારા શહેરની અર્થમ હોસ્પટલ ખાતે ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક પ્રોસિજર્સ (જીબીપી) સર્જરીનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું, જેને એએમએ ખાતે ડોક્ટરોએ નિહાળ્યું હતું.




ડો. લોપેઝ -નાવાએ જણાવ્યું કે, જીબીપી તે સારવાર નહિ અને આક્રમક સારવાર ની વચ્ચેનો એકમાત્ર વિકલ્પ છે. ભારતમાં સર્જરીનું આ સ્વરૂપ હવે પ્રચલનમાં આવી રહ્યું છે. તેમણે એપોલો ઓવર સ્ટિચ અને પોઝ-ર સર્જરી એમ બે પધ્ધતિઓ દ્વારા પોતાની ડોક્ટરોની ટીમ સાથે એન્ડોસ્કોપિક રિડકશન મેથડથી જીવંત નિદર્શન ડોક્ટરોને આપ્યું હતું. આ બંને પધ્ધતિથી હોજરીનું કદ અંદરથી સ્ટેપલ કરીને ઘટાડી શકાય છે. તેમાં કોઈ કાપો મુકવો પડતો નથી કે ટાંકા લેવા પડતા નથી. તેમાં રિકવરી સમય પણ લાગતો નથી. આજે ઓપરેટ થયેલા બંને દર્દીઓને સાંજે રજા આપવામાં આવશે.



અમદાવાદ સ્થિત મહેતા હોસ્પિટલનાં ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટીક સર્જન ડો. રૂપેશ મહેતાએ જણાવ્યું હતું કે, બેરિયાટ્રીક સર્જરી માટે દર્દીની ઉમર કરતા તેની ફિટનેસ મહત્વની છે. અતિશય મેદસ્વિતા ધરાવતા દર્દીનું 80 ટકા સ્ટમક દૂર કરવામાં આવે છે. અગાઉના સમયમાં બેરિયાટ્રીક પ્રોસીજર્સ લેપ્રોસ્કોપીથી થતી હતી. જેમાં દર્દીનું બે તૃતીયાંશ સ્ટમક ઓપરેટ થતું અને કાતર જેવી ચીજ શરીરમાં રહી પણ જતી. બીજી તરફ જીબીપી સરળ છે અને પ્રોસીજર્સમાં માત્ર એક કલાક જેટલો સમય લાગે છે. તેમાં દર્દી સાંજે ઘરે જઈ શકે છે અને બીજા દિવસે ભોજન સમારંભમાં પણ ભાગ લઈ શકે છે.



એન્ડોસ્કોપિસ્ટ ડો. સંજય રાજપુતે જણાવ્યું કે, અમારો હેતુ દર્દીની ખાવાની આદતોનું નિયંત્રણ કરવાનો નથી, પરંતુ ખાદ્યચીજોનાં જથ્થાનો નિયંત્રણ કરવાનો છે. જીઓપીથી આગોતરા ડાયાબિટીસ અને હાયપરટેન્શનમાં પણ પરિવર્તન આવી શકે છે. જીવનશૈલી સાથે સંકળાયેલા આ રોગનાં નિદાનમાં ભવિષ્યમાં વધારે સારું પરિણામ આવશે અને આયુષ્યમાં વધારો થશે.