અમદાવાદઃ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને ગઈ કાલે  નવા મ્યુનિ. કમિશ્નર મુકેશ કુમારે શહેરમાં દૂધ અને મેડિકલ સિવાયની તમામ દુકાનો ખોલવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ 15મી મે સુધી લગાવાયો છે. ત્યારે અમદાવાદમાં પ્રતિબંધ હોવાં છતાં એક મહિલા શાકભાજી વેચી રહી હતી. જે ધ્યાને આવતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.


આ અંગેની વિગતો એવી છે કે, રામદેવપુરની ચાલી પાસે એક મહિલા 2 થેલી લઈને શાકભાજી વેચી રહી હોવાનો મેસેજ કંટ્રોલ રૂમને મળ્યો હતો. આ માહિતીને આધારે સાબરમતી પોલીસે શાકભાજી વેચતી મહિલા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના આજે વહેલી સવારની છે.

અમદાવાદમાં કોરોનાવાયરસના ચેપના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે તેને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકડાઉનનો અત્યંત કડક રીતે અમલ કરાવવાનો નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે અમદાવાદમાં 15 મે સુધી દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ જાહેરાતનો અમલ ગઈ કાલે રાત્રે બાર વાગ્યાથી તેનો અમલ શરૂ થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નિમાયેલા કમિશનર મુકેશ કુમારે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ શાકભાજીની દુકાનો પણ બંધ કરી દેવાશે. અમદાવાદમાં શાકભાજીના ફેરિયા કોરોનાના સુપર સ્પ્રેડર હોવાથી તેમની લારીઓ તથા દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

ડો. રાજીવ ગુપ્તા અને નવા કમિશનર મુકેશ કુમારે આજે હાઈકમાન્ડની મીટિંગ બોલાવી હતી. બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં આગામી 1 સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જેમાં દૂધ અને દવાની દુકાનો શરૂ રહેશે. પરંતુ શાકભાજી, ફ્રૂટ, કરિયાણાની દુકાનો બંધ રહેશે.ઉપરાંત શહેરનાં તમામ 48 વોર્ડ માટે કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી બનાવવા આદેશ આપ્યા હતા.