Ahmedabad : ગુજરાતમા લમ્પી  વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના પશુપાલકોની ચિંતામાં વધારો કરતા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ ગ્રામ્યમાં  લમ્પી વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેનું સેમ્પલ ભોપાલની લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યું છે. જેનું પરિણામ બે દિવસમાં આવશે. જો કે રાહતની વાત એ છે કે આ શંકાસ્પદ કેસ નોંધાયો તે પશુપાલકના 2-3 કિલોમીટરની રેન્જમાં અન્ય કોઈ પશુપાલક નથી.


અમદાવાદ જિલ્લામાં 06 લાખ પશુઓ છે. ત્યારે તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. બોર્ડર વિસ્તારોમાં સઘન સર્વે હાથ ધરાયો છે. તાલુકાઓમાં પણ પશુચિકિત્સકોની ટીમ બનાવાઈ છે. લંપી વાયરસની રસી અસરગ્રસ્ત કેસના 05 કિલોમીટર વિસ્તારમાં પશુઓને અપાય છે.


કેન્દ્રીય પશુપાલન મંત્રી પરોષોત્તમ રૂપાલાએ પોરબંદરની લીધી મુલાકાત
પોરબંદર સહિત રાજ્યભરમાં લમ્પી વાઇરસના કારણે ગૌવંશ મોતને ભેટી રહ્યા છે તેવા સમયે કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગના રાજ્યમંત્રી પરોષોત્તમ રૂપાલા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા અને લમ્પી વાઇરસ અંગે  સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ ઉદ્યોગનગર ખાતે ગૌવંશ માટે બનાવમાં આવેલા આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું.


આ તકે કેન્દ્રીય મંત્રી પરોષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે પોરબંદર  સહિત રાજ્યભરમાં લમ્પી  વાયરસના ભરડામાં ગૌવંશ આવ્યો છે,  તેની સામે રાજ્ય અને કેન્દ્ર સરકાર તકેદારીના તમામ પગલાં લઈ રહી છે. પશુઓને વેકસીનેશન આપવાની કામગીરી ચાલી રહી છે.  પોરબદરમાં ગૌવંશને બચાવા માટે સામાજિક સંસ્થા આગળ આવી છે ખૂબ આવકારદાયક છે. ખાસ નેહલબેન કારાવદરા અને તેમની ટિમની કામગીરીને બિરદાવી હતી સેવાભાવી સંસ્થાના કારણે પોરબદરમાં પશુઓમાં લમ્પી વાયરસ સંક્રમણ ઘટ્યું છે અને મૃત્યુઆંકમાં ઘટાડો થયો હોવાનું રૂપાલાએ જણાવ્યું હતું. પોરબંદરમાં લમ્પી  વાયરસ સામે લડવા માટે સેવાભાવી સંસ્થા આગળ આવી છે તેવો પ્રયોગ દેશ અને રાજ્ય માં પણ કરવામાં આવશે.