Ahmedabad News: દેશમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જતા ૬૬ ગુજરાતીઓ સહિત ૨૭૬ ભારતીયોના ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી ઝડપાઇ જવાની ઘટના બાદ કરવામાં આવી રહેલી તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે. જેમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવાની સાથે સમગ્ર કેસ અંગે વિગતો મેળવવામાં આવી હતી. જેમાં વિગતો બહાર આવી છે કે ડિસેમ્બર મહિનામાં દુબઇથી ત્રણ ટ્રીપ નિકારાગુઆ માટે લગાવીને ૭૫૦થી વધુ ભારતીયોને મેક્સિકો બોર્ડર મોકલાયા હતા. જેમાં ૨૦૦ જેટલા ગુજરાતીઓને સમાવેશ થતો હતો. આ ઉપરાંત, વિટ્રી એરપોર્ટથી ઝડપાયેલા ભારતીયો માત્ર દુબઇના વિઝા સાથે ગયા હતા. પરંતુ, દુબઇ એરપોર્ટથી ગેરકાયદેસર રીતે નિકારાગુઆ જવા માટે નીકળ્યા હતા. આમ, આ દેશનું સૌથી મોટુ કબુતરબાજીનું કૌભાંડ હોવાનુૂં સામે આવ્યું છે.


કેવી રીતે સામે આવ્યો મામલો


ગત ડિસેમ્બર મહિનામાં દુબઇથી નિકારાગુઆ જતા સમયે લિજેન્ડ એરલાઇનનું ફ્રાંસના વિટ્રી એરપોર્ટ પર ફ્યુઅલીંગ માટે આવ્યું તે સમયે ફ્રાંસ પોલીસે તપાસ કરતા ૨૭૬ થી વધારે પેસેન્જર પાસેથી દુબઇથી નિરાકાગુઆની એર ટિકિટ મળી આવી હતી. પરંતુ, પાસપોર્ટમાં વિઝા શંકાસ્પદ જણાઇ આવતા ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર રીતે અમેકિાના જવાના કબુતરબાજીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ તમામ મુસાફરોને ભારત લાવવામાં આવ્યા હતા. જે પૈકી ૬૬ ગુજરાતી મુસાફરો અંગે ગુજરાત સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ૧૪ એજન્ટોના સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.


એજન્ટોએ વોટ્સએપ મેસેજ ડીલીટ કરાવ્યાં


આ કેસની વધુ માહિતી આપતા સીઆઇડી ક્રાઇમના એડીજીપી ડૉ. રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે વિટ્રી એરપોર્ટથી ઝડપાયેલી લિજેન્ડ એરલાઇનની ફ્લાઇટથી ડિસેમ્બર મહિનામાં ત્રણ ટ્રીપ નિકારાગુઆ માટે લગાવવામાં આવી હતી. જેમાં ૭૫૦ ભારતીયો ગેરકાયદેસર રીતે મેક્સિકો પહોંચ્યાની શક્યતા છે. જેમાં ૨૦૦ જેટલા ગુજરાતીઓ હોય શકે તેમ છે. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા ૬૬ ગુજરાતીઓના પાસપોર્ટની તપાસ કરતા તે દુબઇ ફરવા માટેના વિઝા સાથે પહોંચ્યા હતા અને જ્યાંથી તેમને બનાવટી ટિકિટ સાથે નિકારાગુઆ જતા હતા. જેથી આ અંગે નેશનલ એજન્સીની મદદથી તપાસ કરવામાં આવશે. આ સાથે એવીપણ વિગતો બહાર આવી છે કે કેટલાંક એજન્ટો મોટાભાગના લોકોને મોબાઇલમાંથી ડેટા ડીલીટ કરાવી દીધા હતા. જે રીકવર કરવા માટે ફોરેન્સીક એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. આ સાથે તપાસમાં અન્ય એજન્ટોના નામ પણ બહાર આવી શકે તેમ છે.