Gujarat Dam Water Level: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 52 ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,75,662 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 52.58 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,91,640 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 34.21 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.


આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનારાધાર વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના પાંચ ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-2 તથા ભરૂચના ધોલી ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ સાત જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા વૉર્નીગ આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-1, સુરેન્દ્રનગરના ધોળીધજા, ભરૂચના બલદેવા, કચ્છના કાલાઘોઘા, પોરબંદરના સારણ, રાજકોટના આજી-2 તથા જામનગરના ફુલઝર(કે.બી.) ડેમનો સમાવેશ થાય છે. 


આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.42 ટકા, મધ્ય ગુજરાતના 17માં 37.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 37.78 ટકા, કચ્છના 20માં 22.67 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 27.75 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે 


અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એટલેકે, વર્ષ 2023માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 60.14 ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં 33.64 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 40.66 ટકા, કચ્છના 20માં 63.85 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.32 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો હતો. તેમ જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.